હેડ કોન્સટેબલનો નશાની હાલતમાં હંગામો: ચૈતર વસાવાની ઓફિસ બહાર પેશાબ કર્યો; પોલીસ સ્ટેશનમાં પણ મૂછ પર તાવ દઈ રોફ જમાવ્યો – narmada (rajpipla) News
છેલ્લા કેટલાય સમયથી રાજપીપળાનું રાજકરણ ગરમાયું છે. ત્યારે ગતરાત્રે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય નજીક એક ટ્રાફિક-પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હંગામો કર્યો હતો. ચૈતર વસાવાની ઓફિસ બહાર પેશાબ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ
.
નશામાં ધૂત હેડ કોન્સટેબલે આખું પોલીસ મથક માથે લીધું.
નશામાં ધૂત હેડ કોન્સટેબલે ચૈતરની ઓફિસ બહાર પેશાબ કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, ચૈતર વસાવાના સહયોગી જગદીશ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ એકતાનગર ટ્રાફિક-પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંહ વસાવાએ ગતરાત્રે ડેડિયાપાડાના લીમડાચોક વિસ્તારમાં આવેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલયે ચિક્કાર નશાની હાલતમાં પેશાબ કરી ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમનાં પરિવારજનોને બિભત્સ શબ્દો કહ્યા હતા. આ સાથે જ નશાની હાલતમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ચિચિયારીઓ પાડતો હતો. આ મામલે લોકો એકઠા થઈ વીડિયો ઉતારવા લાગ્યા હતા. જેથી તે ત્યાંથી ભાગવા લાગ્યો હતો.
પોલીસ પર પણ હાથ ઉગામ્યો .
પોલીસ સ્ટેશનમાં પણ મૂછ પર તાવ દઈ રોફ જમાવ્યો
આ સમગ્ર બાબતે ડેડિયાપાડા પોલીસને જાણ કરતાં પોલીસે નશામાં ધૂત પ્રદીપ વસાવાને પોલીસ મથકમાં લઈ ગયા હતા. પ્રદીપ અમરસિંહ વસાવાએ ડેડિયાપાડા પોલીસ મથકમાં પણ મોટી મોટી ચિચિયારીઓ પાડી અપશબ્દો બોલી આખું પોલીસ મથક માથે લીધું હતું. નશામાં ધૂત હેડ કોન્સટેબલે પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી મૂછ પર તાવ દઈ રોફ જમાવ્યો હતો. વીડિયોમાં દેખાય છે તે મુજબ તેણે પોલીસ પર પણ હાથ ઉગામ્યો હતો. પોલીસે મહાસુસીબતે તેને કાબૂમાં લઈ જેલહવાલે કર્યો હતો.
આ સમગ્ર મામલે ચૈતર વસાવા પોલીસ મથકે દોડી આવ્યા.
પોલીસ પર પણ હાથ ઉગામ્યો
આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ધારાસભ્ય ચૈતર વસાવા પણ ડેડિયાપાડા પોલીસ મથકે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંહ વસાવાને મેડિકલ ટેસ્ટ માટે મોડીરાત્રે લઈ જવાયો હતો. ત્યાર બાદ પ્રદીપના બ્લડ સેમ્પલ FSL ખાતે ચકાસણી માટે મોકલી અપાયાં છે. પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે.
એકતાનગર ટ્રાફિક-પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંહ વસાવા.
‘પોલીસ મારા પર ખોટો કેસ કરશે તો અમે રોડ પર ઊતરી જઈશું’ : ચૈતર વસાવા
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસે પહેલાં ડેડિયાપાડા ખાતે ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઇ હતી. એ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ Dy.SP. લોકેશ યાદવને ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે અગાઉ ભાજપના ઈશારે મારા પર ખોટા કેસો થયા હતા. હવે આ મામલે ભાજપના ઈશારે જો પોલીસ મારા પર ખોટો કેસ કરશે અથવા એકતરફી કાર્યવાહી કરશે તો અમે રોડ પર ઊતરી જઈશું અને લાખોની સંખ્યામાં આદિવાસીઓ ડેડિયાપાડામાં આંદોલન કરશે.
ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા.
આદિવાસી યુવાનોને માર મારનાર પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાદીની માગ
આ ઉપરાંત ત્રણ દિવસ પહેલાં નર્મદા જિલ્લાના સાગબારા ખાતે PSI સહિત અન્ય પોલીસ સ્ટાફ દ્વારા ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ આદિવસી યુવાનોએ લગાવ્યો હતો. આ મામલે યુવાનોએ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત પણ કરી હતી, એમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હોવાનો આક્ષેપ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘આદિવાસી યુવાનોને માર મારનાર પોલીસ અધિકારી વિરુદ્ધ કાર્યવાહી નહિ થાય તો અમે રસ્તા પર ઊતરી આંદોલન કરીશું’. આમ આવા અનેક બનાવોને પગલે પોલીસ અને ચૈતર વસાવા વચ્ચે ખેચતાંણ થતી જોવા મળી રહી છે.