GUJARAT

રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ પ્રારંભ: છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ; સંતરામપુરમાં પોણાબે ઇંચ, અમરેલીમાં વાવણીનાં શ્રીગણેશ, હેરણ નદીમાં નવાં નીર આવ્યાં – Dahod News


છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો છે

.

આજથી ચોમાસાનો વિધિવત પ્રારંભ
રાજ્યમાં આજથી નવસારીથી ચોમાસાનો વિધિવત શરુઆત થઇ ગઇ છે. હવે રાજ્યમાં તાપમાન ઘટવાની શરૂવાત થશે. આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અગાઉ સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી. આ વર્ષે ભીમ અગિયારસ પહેલાં વાવણીનું મુહૂર્ત સચવાયું છે. અમરેલીમાં વાવણીલાયક વરસાદ થતાં આજે સવારથી જ ખેડૂતોએ બળદ જોતરી વાવણીનાં શ્રીગણેશ કર્યાં છે.​​​​

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ?

તાલુકો વરસાદ (મિમીમાં)
સંતરામપુર 40
મોરવા (હડફ) 27
કલોલ 22
સંજેલી 15
કડી 12
ગાંધીનગર(શહેર) 11
કપરાડા 10
જેતપુર 8
રાજુલા 5
ખેરગામ 5
ભચાઉ 5
અમદાવાદ (શહેર) 5
છોટાઉદેપુર 5
ધાનપુર 5
જાફરાબાદ 4
સાવરકુંડલા 4
રાણપુર 4
શિંગવડ 4
પાલિતાણા 3
અમરેલી 2
બાબરા 2
ધરમપુર 2
વિજયનગર 2
પ્રાંતિજ 2
ઝાલોદ 1

17 જૂન સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે?
આવતીકાલે 12 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. 13 જૂનના રોજ સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

15 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 17 જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

છોટા ઉદેપુરની હેરણ નદીમાં નવા નીર આવ્યા
છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સમયાંતરે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ઉપરાંત ઉપરવાસના મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઇને મધ્ય પ્રદેશમાંથી વહિને આવતી જિલ્લાની નદીઓમાં નવા નીર આવી રહ્યા છે. ત્યારે આજે જિલ્લાની બીજી સૌથી મોટી નદી હેરણ નદીમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે આજે વહેલી સવારે હેરણ નદીમાં નવા નીર આવતા ચલામલી પંથકમાં લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા હતા અને હેરણ નદીમાં પાણી આવ્યા જોવા માટે નદી કિનારે પહોંચી ગયા હતા.

મહીસાગરમાં ધોધમાર વરસાદ
મહીસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તરના કડાણા તાલુકાના ડિટવાસ, સરસવા, ગોધર ઉત્તર, સહિત પુનાવાડા બોર્ડર વિસ્તારમાં ધોધમાર ખેતી લાયક વરસાદ વરસ્યો હતો. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બીજી તરફ કડાણા તાલુકાના મીરાપુરા ગામે ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં એક મકાન પાસે વીજળી પડી હતી. જ્યાં બાંધેલ બે પશુઓના મોત નિપજ્યા છે. મીરાપુર ગામના હરેશભાઈ ખાતરાભાઈના ઘર આગળ બાંધેલ એક ગાય તેમજ એક બળદ પર વીજળી પડી હતી. વીજળી પડતા બન્ને પશુઓના મોત નિપજ્યા છે. ત્યારે ખેડૂત પરિવારમાં બે પશુઓના મોતથી શોખ વ્યાપ્યો છે.

વીજળી પડતાં બે ગાયોના મોત
ગાંધીનગરમાં ગઈકાલે દિવસ દરમ્યાન ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ સાથે મોડી રાતે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વીજળીના ચમકારા સાથે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જેનાં કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગાંધીનગરમાં પાણીની પાઈપ લાઈન માટે ખોદવામાં આવેલા ખાડાઓનું યોગ્ય પુરાણ નહીં કરવાના લીધે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. તો કેટલાક સ્થળોએ વીજળીના કડાકા ભડાકા સાથે આંશિક વરસાદ વરસ્યો હતો. સરઢવ ગામમાં વીજળી પડવાથી બે ગાયોના મોત થયાનું પણ સામે આવ્યું છે.

મહેસાણા-અરવલ્લીમાં વરસાદી માહોલ
ઉત્તર ગુજરાતના મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ પડ્યો હતો. જેમાં મહેસાણાના કડી પંથકમાં મોડી રાત્રે વરસાદ પડતા ગરમીની થોડી રાહત મળી હોય તેઓ અનુભવ જોવા મળ્યો હતો. એકાએક બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ કડીમાં જોવા મળ્યું હતું. જે બાદ અચાનક જ પવનના સૂસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. તો અરવલ્લી જિલ્લામાં દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે સાંજે સાત વાગ્યે એકાએક પવન ફૂંકાયો હતો અને વવાઝોડા જેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. તેમાં ખાસ યાત્રાધામ શામળાજી, રતનપુર બોર્ડર, અણસોલ સહિતનાં ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. જ્યારે મેઘરજ તાલુકાના કસાણા નવાગામ આસપાસ તોફાની વરસાદ જોવા મળ્યો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કાગડોળે રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે.

એકાએક વાતાવરણમાં પલટો આવ્યો
સોમવારે અમદાવાદ શહેર અને ગ્રામ્ય પંથકના વાતાવરણમાં સાંજના સમયે પલટો આવ્યો હતો અને પવન તેમજ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જેતપુર તાલુકાના ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ, મેવાસા, હરીપર સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. મેવાસા ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ ઉપર પાણી વહેતાં થયાં હતાં. આ વખતે પડેલી ભારે ગરમી અને ઉકળાટ બફારા વચ્ચે પવન સાથે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તે સિવાય આજે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરી હતી. જેના પગલે રાત્રે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. શહેરના ઘુમા, બોપલ, સિંધુભવન રોડ, ભાડજ, આંબલી, ઇસ્કોન, જગતપુર, ગોતા, ન્યુ ગોતા, રાણીપ, ચાંદખેડા, વૈષ્ણોદેવી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

દાહોદમાં મધરાતે ખાબક્યો
દાહોદ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા મોડી રાતે જિલ્લામાં વરસાદ વરસ્યો હતો, દિવસભરના ઉકળાટ બાદ મોડી રાતે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. જિલ્લાના સંજેલી, ધાનપુર, ફતેપુરા, ઝાલોદ, સીંગવડ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. લીમખેડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, ગરમી અને ઉકળાટથી લોકોને આંશિક રાહત મળી હતી.

રાજુલામાં ટાવર અને વીજ પોલ ધરાશાયી
અમરેલી જિલ્લામાં સોમવારે વહેલી સવારે ધોધમાર બેટિંગ કરીને મેઘરાજાએ વિરામ લીધો હતો, જેના લીધે બપોરે જમીનમાંથી બાફ નીકળતાં અસહ્ય બફારાના કારણે અમરેલીવાસીઓ શેકાયા હતા. જોકે ફરીથી આકાશમાં કાળાં ડિંબાંગ વાદળો સાથે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જાફરાબાદ તાલુકાના સરોવડા, બારપટોળી સહિતનાં ગામમાં વરસાદ પડ્યો છે. રાજુલામાં સાંઈબાબા મંદિર નજીક આવેલી સરકારી શાળાનું વાઇફાઇ ટાવર ધરાશાયી થતાં નીચે કેટલાંક જૂનાં મકાનોમાં નળિયાં તૂટયાં હતાં. બીજી તરફ રાજુલા બાયપાસ નજીક વીજપોલ પડતાં રસ્તો બંધ થઇ ગયો હતો. જોકે પીજીવીસીએલ ટીમે ઘટનાસ્થળે પહોંચી વીજપોલ હટાવીને રસ્તો પૂર્વવત્ કરાવ્યો હતો. આ તરફ જિલ્લાના ખાંભા ગીરનાં ગામડાઓમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડતા ગીરનાં ગામડાઓમાં સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીર આવ્યાં છે. ખાંભાના હનુમાનપુર અને તાલડા ગામની સ્થાનિક નદીઓ વહેતી થઇ હતી.

વીજળી પડતા આગ લાગી
જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારિયા ગામમાં ખેડૂતે પશુ માટે રાખેલા નીરણવાળા મકાનમાં વીજળી પડતાં આગ લાગતાં ગ્રામજનોમાં દોડધામ મચી હતી. ગ્રામજનોએ રાજુલા નગરપાલિકાને જાણ કરતા ફાયર ટીમ પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. આ તરફ જિલ્લાના ખાંભા ગીરનાં ગામડાઓમાં સતત બીજા દિવસે ભારે વરસાદ પડતા ગીરનાં ગામડાઓમાં સ્થાનિક નદી-નાળાઓમાં નવા નીર આવ્યાં છે. ખાંભાના હનુમાનપુર અને તાલડા ગામની સ્થાનિક નદીઓમાં વહેતી થઇ છે. ધાવડિયા અને ગીદરદી ગામની સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યાં છે. તો વાવેરા સહિત ગામડામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

અલગ-અલગ વિસ્તારમાં 5 લોકોનાં મોત થયાં
રવિવારે પણ રાજ્યના ચારેય ઝોનમાં વરસાદ વરસ્યો હતો, જેમાં કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી. પ્રથમ વરસાદમાં જ રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં 5 લોકોનાં મોત થયાં હતાં. ભરૂચમાં વૃક્ષ નીચે દબાઈ જતાં ત્રણનાં મોત તો વડોદરામાં વીજળી પડતાં એકનું મોત જ્યારે અમરેલીમાં એક બોલેરો ગાડી તણાઈ જતાં બોલેરો ચાલકનું મોત નીપજ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!