માસૂમોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં: રહેણાક વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી 5,000થી વધુ પ્રી-સ્કૂલ, મોટે ભાગે પતરાંના શેડમાં; નથી BU પરમિશન કે ફાયર NOC – Ahmedabad News
![માસૂમોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં: રહેણાક વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી 5,000થી વધુ પ્રી-સ્કૂલ, મોટે ભાગે પતરાંના શેડમાં; નથી BU પરમિશન કે ફાયર NOC – Ahmedabad News માસૂમોના જીવ સાથે ખુલ્લેઆમ ચેડાં: રહેણાક વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી 5,000થી વધુ પ્રી-સ્કૂલ, મોટે ભાગે પતરાંના શેડમાં; નથી BU પરમિશન કે ફાયર NOC – Ahmedabad News](https://i2.wp.com/images.bhaskarassets.com/web2images/960/2024/06/10/whatsapp-image-2024-06-10-at-35558-pm_1718019234.jpeg?w=780&resize=780,470&ssl=1)
રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદ શહેરમાં મંજૂરી વગરની અને ફાયર NOC ન ધરાવનાર મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં શાળા-કોલેજો સિવાય ગેરકાયદે પ્રી-સ્કૂલો પણ ધમધમી રહી છે. મોટા ભાગની પ્રી-સ્કૂલો સોસાયટીઓમાં આવેલાં મકાનો અને પતરાંના શેડ
.
આ મામલે દિવ્ય ભાસ્કરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કરનો સતત ટેલિફોનિક સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો
પતરાંના શેડ ને ગાર્ડન તૈયાર કરી પ્રી-સ્કૂલ શરૂ કરી દેવાય છે
અમદાવાદ શહેરમાં દરેક વિસ્તારમાં પ્રી-સ્કૂલો આવેલી છે. પ્રી-સ્કૂલો માટેનું રજિસ્ટ્રેશન ચાલુ વર્ષથી શરૂ થયું છે. આજદિન સુધી કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશન વિના આ સ્કૂલો ચાલતી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રી-સ્કૂલો આવેલી છે, જેમાં મોટા ભાગની કોઈપણ સોસાયટી કે બંગલામાં આવેલાં મકાનોમાં શરૂ કરી દેવામાં આવે છે. રહેણાક વિસ્તારમાં પતરાંના શેડ લગાવી દેવામાં આવે છે, આગળ નાનું ગાર્ડન જેવું બનાવી દેવામાં આવે છે અને પ્રી-સ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે.
પ્રી-સ્કૂલો પાસે બીયુ પરમિશન નથી
શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્નેહ પ્લાઝા રોડ ઉપર અને ડીકેબિન વિસ્તારમાં ટ્રી હાઉસ, શાહીબાગ ગિરધરનગર વિસ્તારમાં ધ રેઈનબો ફિશ સહિતની પ્રી-સ્કૂલો આવેલી છે, જે સોસાયટીઓમાં આવેલાં મકાનોમાં ચાલે છે. એમાં કેટલીક પ્રી-સ્કૂલો પાસે બીયુ પરમિશન નથી, જ્યારે કેટલીક સ્કૂલોએ ઇમ્પેક્ટમાં પણ અરજીઓ કરેલી છે. આમાંની અમુક પ્રી-સ્કૂલોમાં જ ફાયર NOC અને ફાયર સેફ્ટીનાં સાધનો લગાવેલાં છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/10/whatsapp-image-2024-06-10-at-35601-pm_1718019283.jpeg)
જો કોઈ ઘટના બને તો જવાબદાર કોણ?
અમદાવાદ શહેરમાં અંદાજે 5,000થી વધુ પ્રી-સ્કૂલો આવેલી છે, જેમાં મોટા ભાગની સ્કૂલોમાં GDCRના નિયમ પ્રમાણે જે કોમર્શિયલ બીયુ સર્ટિફિકેટ લેવાનું હોય છે એ લેવામાં આવતું નથી. રહેણાક તરીકેનું બીયુ સર્ટિફિકેટ હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેતુ બદલાવ કરી અને કોમર્શિયલ કરાવવું પડે છે, એનો ટેક્સ પણ કોમર્શિયલ ભરવાનો હોય છે, પરંતુ માત્ર સોસાયટીના મકાનમાં બાંધકામ ઊભું કરીને સ્કૂલો શરૂ કરી દેવામાં આવે છે. 9 મીટરથી નીચેની ઇમારતમાં કોઈ ફાયર NOC ન લેવાનો નિયમ હોવાથી NOC લેવામાં આવતું નથી, પરંતુ સુરક્ષાને લઈને ફાયર સેફટીનાં સાધનો લગાવવાનાં હોય છે, જોકે મોટા ભાગની સ્કૂલોમાં સાધનો પણ હોતાં નથી. જો કોઈ ઘટના બને તો નાનાં બાળકોને બહાર કાઢવા માટે માત્ર એક જ દરવાજો હોય છે. આવા મકાનમાં જો કોઈ ઘટના બની જાય તો એના માટે કોણ જવાબદાર બને.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/10/whatsapp-image-2024-06-10-at-35600-pm_1718019244.jpeg)
રહેણાક હેતુનુ બી. યુ. સર્ટિફિકેટ માન્ય રાખે, નહિતર 90% પ્રી-સ્કૂલ બંધ થઈ જશે
રાજકોટમાં બનેલી દુર્ઘટનાના પગલે સરકારની સૂચનાથી દરેક એકમને ત્યાં બી.યુ.સર્ટિફિકેટ અને ફાયર એન.ઓ.સી બાબતે ચકાસણી કરી સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે છેલ્લા 10 દિવસની અંદર રાજકોટ શહેરમાં પણ અનેક પ્રી-સ્કૂલ પાસે બી.યુ. સર્ટિફિકેટ ન હોવાના કારણે સીલ કરવામાં આવી છે. જોકે આ અંગે પ્રી-સ્કૂલ એસોસિયેશને રજૂઆત કરી છે કે GDCRના નિયમ મુજબ રહેણાક હેતુનુ બી.યુ. સર્ટિફિકેટ માન્ય રાખે, નહિતર 90% પ્રી-સ્કૂલ બંધ થઈ જશે. રાજ્યના શિક્ષણ વિભાગે ફેબ્રુઆરી 2025 સુધીનો સમય આપ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સમય આપવામાં આવે એવી વિનંતી કરી છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2024/06/10/whatsapp-image-2024-06-10-at-20822-pm_1718019261.jpeg)
નીતિઓને ફરીથી રિવાઇઝ કરવા કમિશનરને રજૂઆત
રાજકોટમાં પ્રી-સ્કૂલ એસોસિયેશનના મેમ્બર ચિરાગ સાકરીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પ્રી-સ્કૂલ પર તપાસ કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ નકશો માગવામાં આવે છે અને એમાં જો રેસિડેન્શિયલ હેતુ હોય તો તરત સીલ કરવામાં આવે છે, પરંતુ GDCRના નોમ્સ મુજબ પ્રી-સ્કૂલો રેસિડેન્શિયલમાં ગણવામાં આવે છે. પ્રી-સ્કૂલોને રજિસ્ટ્રેશન કરવા માટે તા.17/02/2024ના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરી 2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરવા માટે સૂચના આપવામાં આવી છે, જેમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા માટે અને નીતિઓને ફરીથી રિવાઈઝ કરવા રાજકોટ જિલ્લા કલેક્ટર, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ રાજકોટ મનપાના કમિશનરને તા. 09/04/24નાં રોજ રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે અમે જાણ કરવા માગીએ છીએ કે રાજકોટની મોટા ભાગની એટલે કે લગભગ 90% જેટલી પ્રી-સ્કૂલમાં આવતાં બાળકોની સંખ્યા 50થી ઓછી હોય છે . પ્રી-સ્કૂલ અને સ્કૂલ વચ્ચેનો તફાવત સમજી તંત્ર દ્વારા અમારી માગણી સંતોષવામાં આવે એવી વિનંતી છે.