હરણી બોટકાંડનો મુદ્દો ગાજ્યો: રૂ.300નું કમિશન લેનારી શાળાએ 40 વર્ષ પાલિકાનો પ્લોટ વાપર્યો, રૂ.54 લાખ વસૂલો – Vadodara News
ગત 20 ફેબ્રુઆરીએ બજેટની સભામાં થયેલી ચર્ચાના 110 દિવસ બાદ સોમવારે મળેલી સામાન્ય સભામાં ચર્ચા થઈ હતી. જેમાં હરણી બોટકાંડનો મુદ્દો ઊઠ્યો હતો. હરણી બોટકાંડ બાદ શાળા સંચાલકો સામે કાર્યવાહી થઈ નથી. ત્યારે 40 વર્ષ સુધી શાળાએ પાલિકાના પ્લોટને મેદાન તરીકે વા
.
રાજકોટમાં રૂા. 99ની સ્કીમ ગયા અને હરણી બોટકાંડમાં રૂા. 750ની ટિકિટમાં રૂા. 300નું કમિશન લેવાયું, જેમાં 14 નિર્દોષ લોકોના મોત થયાં હતાં. પાલિકાના અધિકારીઓ પોતાના પર ન આવે તે માટે માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકે છે. બોટકાંડ બાદ ધ્યાને આવ્યું કે 40 વર્ષથી શાળા પાલિકાનું મેદાન વાપરતી હતી. જેને પાલિકાના હસ્તક લેવા પંચનામું કરાયું. સરકાર મૃતકોને ક્યારે અને કેટલું વળતર આપશે તે જાહેર નથી થયું.
પાલિકાની જગ્યાનું 1 દિવસના 10 હજાર ભાડું થાય છે. પણ શાળાનું 270 દિવસમાં સત્ર મુજબ 40 વર્ષના 10,800 દિવસના મિનિમમ રૂા.500 લેખે ગણીએ તો 54 લાખ થાય છે. પાલિકાએ દાખલો બેસાડવા શાળા સંચાલકોને નોટિસ આપી વસૂલાત કરવી જોઈએ. આ રજૂઆતને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે ટેકો આપ્યો હતો. પુષ્પાબેન વાઘેલાએ ધારાસભ્યે કરેલા લિનિયર પાર્કના પ્રેઝન્ટેશનમાં તેઓને કેમ ન બોલાવ્યાં કહી નારાજગી વ્યક્ત કરી હતી.
ગોત્રી રોડના સર્કલને સન સિટીને બદલે પારેશ્વર મહાદેવ નામ આપો : શ્રીરંગ આયરે
શહેરના વોર્ડ 9ના કાઉન્સિલર શ્રીરંગ આયરેએ જણાવ્યું હતું કે, ગોત્રી રોડ પર આવેલા યશ કોમ્પ્લેક્સ પાસે બનેલા સર્કલને સનસિટી સર્કલ પારેશ્વર મહાદેવ નામ આપવામાં આવે. ઉપરાંત પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે પણ આ નામ આપવાની ભલામણ કરી હતી. તેઓએ કહ્યું હતું કે વડોદરામાં ઝાંસી કી રાણી સર્કલ, મહારાણા પ્રતાપ સર્કલ જેવા સર્કલ હોવા જોઈએ ન કોઈ બિલ્ડરના નામના સર્કલ હોવા જોઈએ. ઉપરાંત પશ્ચિમ વિસ્તાર વિસ્તરી રહ્યો છે ત્યારે વર્ષોથી કોઈ નવી પાણીની ટાંકી બની નથી. આ સંજોગોમાં લક્ષ્મીપુરા ખાતે ટાંકી બનાવવાની માગ અંગે તેમણે તંત્રનું ફરી વખત ધ્યાન દોર્યું હતું. બીજી તરફ ઉંડેરાની ખુલ્લી કાંસને બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
5 હજાર જર્જરિત મકાનો ક્યાં છે તે તો જાહેર કરો
વિપક્ષનાં નેતા અમી રાવતે કહ્યું કે, પાલિકાએ 5 હજાર જર્જરિત આવાસથી લોકોએ ચેતીને રહેવું. દુર્ઘટના સર્જાશે તો જવાબદારી પાલિકાની નહીં રહે તેવી જાહેરાત આપી છે. પણ આ ઇમારતો કઈ છે તે કોને ખબર છે. રાહદારીઓને ચેતવણી અપાય છે તો તકેદારીના ભાગરૂપે પોલીસ વિભાગને કહીને તમામ રોડ બંધ કરી દો.
હિંમતનગર આવાસ : લિંબાચિયા અને ઘનશ્યામ પટેલ સામસામે
તરસાલી બાયપાસથી ધનિયાવી તરફના રોડ પર હિંમતનગરનાં જર્જરિત આવાસો છે. રવિવારે ત્યાં મકાનની છત પડી હતી. જેથી રહીશોને માનવતાના ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની કાઉન્સિલર અલ્પેશ લિંબાચિયાએ માગ કરી હતી. જોકે કાઉન્સિલર ઘનશ્યામ પટેલે વિરોધ કરી કહ્યું કે, 456 મકાનો છે, જેમાંથી માત્ર 10થી 15 લોકો જ રહે છે અને ખાલી કરતા નથી.