GUJARAT

શક્તિસિંહે ગુજરાત કોંગ્રેસમાં પ્રાણ કેવી રીતે પૂર્યા?: માઇક્રો મેનેજમેન્ટના એ 10 કારણો જેણે ભાજપને હંફાવ્યો, ‘ઓપરેશન બિનહરીફ’ને ફેલ કર્યું


અમદાવાદ7 કલાક પેહલાલેખક: મનોજ કે. કારીઆ

  • કૉપી લિંક

લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાતનું પરિણામ અકલ્પનીય આવ્યું છે. 5 લાખ મતની લીડથી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતવાના સપનામાં રાચતા ભાજપના નેતાઓ તો જાણે કે અવાક બની ગયા છે. ભલે ભાજપ ગુજરાતની એક જ બેઠક બનાસકાંઠામાં હાર્યું છે પરંતુ તેની આ હારના પડઘા છેક દિલ્હીમાં પણ પડ્યા છે.

કોંગ્રેસની વાત કરીએ તો તેની ગણતરી કરતાં પરિણામ થોડું અવળું આવ્યું છે પરંતુ ભાજપને ગુજરાતની બધી જ લોકસભા બેઠક પર જીતીને હેટ્રિક કરતાં અટકાવવાનો આનંદ પણ કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે. બનાસકાંઠામાં કોંગ્રેસની જીતનો શ્રેય ગેનીબેન ઉપરાંત સ્થાનિક કાર્યકરો અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પણ જાય છે. એક બેઠક પર મળેલી જીતે કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલનું કદ વધારી દીધું છે.

શક્તિસિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હોવાથી ઉમેદવારોની પસંદગી, સંગઠનની દેખરેખ, હાઇકમાન્ડ સાથે સતત કોમ્યુનિકેશન, પ્રચાર માટે રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ ગોઠવવા, કઇ તારીખે કોણ ક્યાં પ્રચાર કરશે જેવી જવાબદારીઓ તેમના પર હોય તે સ્વભાવિક જ છે. આ તમામ બાબતોમાં શક્તિસિંહે માઇક્રો મેનેજમેન્ટ કર્યું જેનું પરિણામ બનાસકાંઠામાં કોંગ્રેસની જીતના રૂપે સામે આવ્યું છે.

ફક્ત બનાસકાંઠા જ નહી પરંતુ ગુજરાતની અન્ય બેઠકો પર પણ જીત મેળવવા માટે શક્તિસિંહ ગોહિલે ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું હતું. તેમણે ઉમેદવારની પસંદગીમાં કાર્યકરોની ઇચ્છાને પ્રાધાન્ય આપ્યું, બૂથ એજન્ટની પણ ગોઠવણ કરી અને રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં પ્રચાર દરમિયાન શું બોલવું અને શું ન બોલવું તેનું પણ ખાસ ધ્યાન રાખ્યું. આવા અનેક નાના-નાના મુદ્દાઓ પર ફોકસ કરીને શક્તિસિંહે ગુજરાતમાં કોંગ્રેસને સફળતા અપાવી. દિવ્ય ભાસ્કરે કોંગ્રેસની આ જીત પાછળ કયાં એવાં દસ કારણોએ મહત્ત્વની ભૂમિકા ભજવી તેનું એનાલિસિસ કર્યું છે.

1) ઉમેદવારોની પસંદગી માટે કાર્યકરો પાસે ફોર્મ ભરાવ્યું
શક્તિસિંહ ગોહિલે ઉમેદવારોની પસંદગી કરવામાં કાર્યકરોને મહત્ત્વ આપ્યું. તેમણે દરેક જિલ્લામાંથી 70થી 80 કાર્યકરો-આગેવાનોને બોલાવ્યા હતા. આ તમામ કાર્યકરોને એક પ્રિન્ટેડ ફોર્મ આપ્યું હતું અને સ્થાનિક વિસ્તારમાં કોંગ્રેસનું હિત ઇચ્છતા હોય તેવા વ્યક્તિનાં નામો, કોને ટિકિટ આપવી જોઇએ તેનાં ત્રણ કારણો જણાવવાનું કહ્યું હતું. જો કોઇ કાર્યકરને લાગે કે આ નેતાને ટિકિટ ન આપવી જોઇએ તો તેના પણ કારણો દર્શાવવાનું ફોર્મમાં લખ્યું હતું. આમ ઉમેદવાર માટે કાર્યકરોની પસંદગી, નાપસંદગીનાં કારણો સહિત તેમણે ધ્યાને લીધી હતી.

2) કાર્યકોરની પસંદગીના ઉમેદવારોને ટિકિટ
આ સ્થાનિક કાર્યકરો-આગેવાનોએ જે ઉમેદવારનું નામ સૂચવ્યું હતું તેનું એક કોમન લિસ્ટ બનાવી શક્તિસિંહે પ્રભારીને સોંપ્યું હતું. કાર્યકરોએ ભરેલાં 70-80 ફોર્મમાંથી બહુમતી નામ ધરાવતાં ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી.

3) ઉમેદવારો પાસેથી 2 અંગત વ્યક્તિનાં નામ મોબાઇલ નંબર લીધાં
ટિકિટ વહેંચણી બાદ શક્તિસિંહ ગોહિલે ઉમેદવારોની એક મિટિંગ યોજી હતી. જેમાં તેમની પાસેથી એ જાણ્યું હતું કે જીતવા માટેના કયાં કારણો છે અને સ્થાનિક સમસ્યા શું છે. ઉપરાંત ઉમેદવારો પાસેથી એવી બે અંગત વ્યક્તિનાં નામ અને મોબાઇલ નંબર માગ્યાં હતાં કે જેનો સીધો સંપર્ક કરી શકાય. ઉમેદવાર પ્રચારમાં વ્યસ્ત હોય તો આ બે વ્યક્તિને પ્રદેશ કોંગ્રેસ ઓફિસથી સીધી જરૂરી સૂચના અપાતી અને આ સૂચના ઉમેદવાર સુધી પહોંચી જતી હતી. શક્તિસિંહે આખી ચૂંટણી દરમિયાન ઉમેદવારોને એક જ વાર કોંગ્રેસ ઓફિસે બોલાવ્યા હતા. વારંવાર ઓફિસે બોલાવી ઉમેદવારોના સમયનો વ્યય કર્યો નહતો.

શક્તિસિંહ અને કોંગ્રેસના નેતાઓની ફાઇલ તસવીર

શક્તિસિંહ અને કોંગ્રેસના નેતાઓની ફાઇલ તસવીર

4) ઉમેદવારોને લીગલ ટીમનો સપોર્ટ આપ્યો
​​​​​​
​ઉમેદવારોની પસંદગી બાદ તેમના ફોર્મ ભરવાથી માંડીને બધી જ બાબતોની લીગલ ટીમે ચકાસણી કરી હતી. પરિણામ સ્વરૂપ ભાજપે કોંગ્રેસના 18 ફોર્મ સામે વાંધો ઉઠાવ્યો હતો તેમ છતાં કોઇ જ વાંધો માન્ય ન રહ્યો અને બધાં જ ફોર્મ મંજૂર થયાં હતાં.

5) બૂથ એજન્ટ અને રિલીવરના નામ મગાવી મતદાર યાદી ચકાસી
પહેલાં ઉમેદવારો પોતાની રીતે બૂથ લેવલે એજન્ટની ગોઠવણી કરતા હતા. તેના બદલે ઉમેદવારો પાસેથી બૂથ એજન્ટ તથા બે રિલીવરનાં નામ તથા તેમના મોબાઇલ નંબર કોંગ્રેસ ઓફિસમાં મંગાવવામાં આવ્યાં હતાં. તેમની સાથે કોંગ્રેસમાંથી વાત કરીને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આખીય વ્યવસ્થા કોંગ્રેસ ઓફિસમાંથી ગોઠવવામાં આવી હતી. આ લોકોનાં નામ કલેક્ટર તેમ જ ચૂંટણી કમિશનરમાં મોકલવામાં આવ્યા હતા. જેથી મતદાર યાદી કે આખે આખી સોસાયટી રદ તો નથી થઇને વગેરે બાબતોની ચકાસણી થઇ જાય.

6) કોઇ વિવાદ ન થાય તે માટે રાષ્ટ્રીય નેતાઓને મુદ્દાની માહિતી અપાતી હતી
પ્રચાર દરમિયાન કોઇ પ્રચારક બફાટ ન કરે, વિવાદાસ્પદ નિવેદન ન આપી દે તેનું પણ ખાસ ધ્યાન રખાયું હતું. આ માટે દિલ્હીથી આવેલી સ્પષ્ટ સૂચના મુજબ કેમ્પેઇન દરમિયાન પ્રચારકને સ્થાનિક મુદ્દાઓથી માંડીને જરૂરી માહિતી સ્થાનિક કક્ષાએથી જ આપી દેવામાં આવતી હતી.

7) પ્રેસ કોન્ફરન્સમાં અગાઉથી પોઇન્ટ તૈયાર કરી દેવાતા
પ્રેસ કોન્ફરન્સમાં પણ રાષ્ટ્રીય નેતા કે પ્રાદેશિક નેતાને બોલવા માટેના પોઇન્ટ તૈયાર કરીને આપી દેવાનું નક્કી કર્યું હતું.

8) ન્યાયની ગેરંટીવાળા કાર્ડ ગ્રામ્ય સ્તરે મોકલ્યા
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ 5 ન્યાય અને 25 ગેરંટીવાળા 31 લાખ કાર્ડ ગુજરાતમાં મોકલ્યા હતા. આ કાર્ડનું મતદારોમાં વિતરણ કરાયું. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ કાર્ડનું વિતરણ કરાયું હતું.

9) પ્રચાર માટે કયા નેતા જોઇએ છે તેનાં નામ ઉમેદવારો પાસેથી મગાવ્યાં
પ્રચાર માટે ઉમેદવારને કયા રાષ્ટ્રીય નેતા, પ્રદેશ કક્ષાના કયા નેતા તેમજ સ્થાનિક કયા નેતાઓ જોઇએ છે તેના નામ ઉમેદવારો પાસેથી જ મગાવી લેવાયાં હતાં.

10) મત ગણતરી માટે પેન્સિલ, રબ્બર, કેલ્ક્યુલેટરની કિટ તૈયાર કરાવી
EVMમાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે મત ગણતરી સમયે ઉમેદવારો અને તેમના કાઉન્ટિંગ એન્જટે શું-શું ધ્યાન રાખવું તેની ખાસ તાલીમ આપવામાં આવી હતી. જેમાં કઇ રીતે મતગણતરી થાય છે, તેમાં શું ધ્યાન રાખવાનું હોય છે તેમ જ EVM નંબર, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ નંબર વિશેની માહિતી અપાઇ હતી. આ ઉપરાંત તે લોકોને વિધાનસભા બેઠક દીઠ પ્રિન્ટેડ ફોર્મ આપી દેવામાં આવ્યા હતા. જેમાં કયા EVM માંથી કેટલાં મતો નીકળ્યા અને કોને કેટલા મત મળ્યા તેની ઝીણવટભરી વિગતો હતી. આ ફોર્મમાં જે આંકડા લખવાના હતા તે આંકડા પેન્સિલથી લખવાનું જણાવવામાં આવ્યું હતું. આ માટે મત ગણતરી સ્થળે જનારા કાર્યકરને એક કિટ આપવામાં આવી હતી. આ કિટમાં પેન્સિલ, રબ્બર, સંચો, કેલ્ક્યુલેટર વગેરે જેવી સામગ્રી આપવામાં આવી હતી. તેમજ તેમનું આઇકાર્ડ પણ આપવામાં આવ્યું હતું.

શક્તિસિંહને દિલ્હીમાં અહેમદ પટેલ જેવું સ્થાન મળશે?
પેન્સિલ, રબ્બરથી માંડીને રાષ્ટ્રીય નેતાઓના પ્રચારના મુદ્દા સુધીના મેનેજમેન્ટના કારણે કોંગ્રેસે ગુજરાતમાં કમાલ કર્યો. આ ચોંકાવનારા પરિણામ આવવાથી શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વધુ એક શક્તિશાળી નેતા સાબિત થયા છે. આ જ કારણોસર તેમને અહેમદ પટેલની જેમ દિલ્હીમાં મહત્ત્વનું સ્થાન મળશે અને તેઓ ગુજરાતના કોંગ્રેસના મજબૂત નેતા બની જશે તેવી વાતો વહેતી થઇ હતી. જો કે કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓના મતે આવું શક્ય નથી.

શક્તિસિંહ અને અહેમદ પટેલની ફાઇલ તસવીર

શક્તિસિંહ અને અહેમદ પટેલની ફાઇલ તસવીર

ગુજરાતમાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે શક્તિસિંહની જરૂર છે
પ્રાદેશિક નેતાઓનું માનવું છે કે ગુજરાતમાં હજુ સંગઠનનું ઘણું કામ કરવાનું બાકી છે અને શક્તિસિંહ દરેક આગેવાનોથી માંડીને કાર્યકરો સુધીનાને સાથે રાખીને કામ કરે છે. શક્તિસિંહે આ વખતની ચૂંટણીમાં ગ્રાઉન્ડ લેવલે ઘણાં બધાં પગલાં લીધાં છે. જેના લીધે 45થી 70 ટકા સુધીનું પરિણામ મળ્યું છે. પરંતુ હજુ થોડી મહેનત માંગી લે તેવું કામ બાકી હોવાથી હાલ શક્તિસિંહને ગુજરાતથી હટાવીને દિલ્હી લઇ જવાની શક્યતા નહીવત છે. ઓલરેડી શક્તિસિંહ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ઉપરાંત દિલ્હી તેમ જ હરિયાણા, બિહારના પ્રભારી હતા. હાલ પણ તેઓ રાહુલ ગાંધી તેમ જ પ્રિયંકા ગાંધીની ગુડબુકમાં છે જ પરંતુ ગુજરાતમાં હાલની સ્થિતિ જોતાં કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે તેમને ગુજરાતમાંથી હટાવે નહીં તેવી શક્યતાઓ દેખાઇ રહી છે.

2022માં ગુજરાતમાં કોંગ્રેસનો પાયો હચમચી ગયો હતો
સ્થાપના બાદથી 2017 સુધીમાં ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિમાં તબક્કાવાર ઘટાડો થતો જતો હતો પણ એકંદરે સારી પરિસ્થિતિ હતી. વર્ષ 2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીએ કોંગ્રેસનો પાયો હચમચાવી નાંખ્યો હતો. આ પરિણામો બાદ કોંગ્રેસ સામે ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો મોટો પડકાર સર્જાયો હતો. આ ચૂંટણી સમયે જગદીશ ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ હતા પરંતુ કોંગ્રેસના રકાસ બાદ સર્જાયેલી પડકારજનક સ્થિતિમાં હાઇકમાન્ડે શક્તિસિંહ ગોહિલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપી.

પ્રચાર દરમિયાનની શક્તિસિંહની ફાઇલ તસવીર

પ્રચાર દરમિયાનની શક્તિસિંહની ફાઇલ તસવીર

શક્તિસિંહ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારે કાર્યકરોમાં નિરાશા હતી
​​​​​​
​શક્તિસિંહ ગોહિલ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે પક્ષમાં તેમજ કાર્યકરોમાં ભારે નિરાશા અને હતાશા હતી. શક્તિસિંહ આવ્યા પહેલાં ઘણા નેતાઓ પક્ષપલટો કરીને કોંગ્રેસ છોડીને જતા રહ્યા પરંતુ શક્તિસિંહે ચાર્જ સંભાળ્યા બાદ ઘણા નેતાઓ પક્ષ છોડીને જતાં અટકી પણ ગયા. જેના કારણે કોંગ્રેસમાં ફરી એકવાર આશાનું કિરણ જન્મ્યું.

શક્તિસિંહે સિનિયર નેતાઓને સાથે રાખવાનું શરૂ કર્યું
ચાર્જ સંભાળ્યા બાદ યોજેલી પહેલી જ મિટિંગમાં શક્તિસિંહે ભાષણબાજી નહીં પણ કામગીરીને મહત્ત્વ આપ્યું ત્યાં સુધી કે તેમણે ગાંધી આશ્રમથી કોચરબ આશ્રમ સુધીની પદયાત્રા કાઢીને કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. બધા સીનિયર નેતાઓને સાથે રાખીને તેમની સાથે વાત કરીને પ્રશ્નોને ઉકેલવાનો ચીલો ચાતર્યો હતો.

મારો તે સારોના સૂત્રમાંથી કોંગ્રેસને બહાર કાઢી
​​​​​​
​શક્તિસિંહ ગોહિલે મારો તે સારોના સૂત્રમાંથી બહાર નીકળીને કામ કરે તે સારોનું નવું સૂત્ર આપ્યું એટલું જ નહી પરંતુ તેઓ કામની વહેંચણી પણ કરવા લાગ્યા હતા. આનાથી થયું એવું કે પોતાને જવાબદારીનું કામ સોંપ્યું હોવાનું માનીને કાર્યકરો-નેતાઓએ પાર્ટી માટેના પ્રેમભાવથી, ઝનૂન અને જુસ્સાથી કામ કર્યું હતું. આ કામગીરીથી કોંગ્રેસને 45થી 65 ટકા સફળતા મળી હતી. સાથોસાથ કોંગ્રેસ ભાજપને ટક્કર આપવામાં પણ સફળ રહી હતી.

કોંગ્રેસમાં પહેલી વખત ટિકિટ વહેંચણીમાં તોડફોડ, દેખાવો ન થયા
ટિકિટ વહેંચણી બાબતે ભૂતકાળમાં કોંગ્રેસની ઓફિસમાં તોડફોડ, દેખાવો થઇ ચૂક્યા છે. જો પોતાની પસંદગીના વ્યક્તિનું નામ કપાય તો કાર્યકરો કોંગ્રેસ ઓફિસમાં શક્તિ પ્રદર્શન કરે, દેખાવો કરે અને તોડફોડ કરે તેમજ પ્રદેશના નેતાઓ સામે જાહેરમાં ટિપ્પણીઓ પણ કરે તેવું બનતું હતું. જેનાથી એક નકારાત્મક મેસેજ જતો હતો. કોંગ્રેસની આ છબી બદલવા માટે શક્તિસિંહ ગોહિલે પ્રયાસો આદર્યા. આ વખતની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી વખતે શક્તિસિંહ ગોહિલે પારદર્શકતા રાખી જેના કારણે કોંગ્રેસમાં કોઇપણ જાતનો કકળાટ થયો નહતો અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ઇતિહાસ રચ્યો. આ જીતથી ખુદ કોંગ્રેસીઓ પણ મોંમાં આંગળાં નાંખી ગયા હતા.

શક્તિસિંહને ભાજપના ‘ઓપરેશન બિનહરીફ’ની ગંધ આવી ગઇ હતી
​​​​​​
​ભાજપે ગુજરાતમાં અમદાવાદ પૂર્વ, સુરત અને રાજકોટ એમ 3 સીટ પર ‘ઓપરેશન બિનહરીફ’ શરૂ કર્યું હતું પણ શક્તિસિંહ ગોહિલને આની ગંધ આવી જતાં તેઓ સાવધ થઇ ગયા હતા જેના કારણે 2 બેઠક પર ભાજપનું ઓપરેશન બિનહરીફ સફળ થયું નહોતું.

કોંગ્રેસે 12મી માર્ચે ગુજરાતના 7 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી નેશનલ સોશિયલ મીડિયા કો-ઓર્ડિનેટર રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી પણ તેમણે પોતાના પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને 18મી માર્ચે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો. જેના 25 જ દિવસમાં તેઓ ભાજપમાં જોડાઇ ગયા હતા. આ અંગે કોંગ્રેસ તેમ જ રોહન ગુપ્તાએ એકમેક સામે આક્ષેપ-પ્રતિ આક્ષેપો કર્યા હતા. આવી જ સ્થિતિ સુરતમાં થઇ હતી. જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ એવું ચક્રવ્યૂહ રચ્યું કે કોંગ્રેસ તેમાં ફસાઇ ગઇ અને સુરતની બેઠક બિનહરીફ થઇ.

આ બે ઘટનાથી બોધપાઠ લઇને કોંગ્રેસે રાજકોટના ઉમેદવારની પસંદગીમાં કોઇ ઉતાવળ ન કરી. પહેલાં એવી ચર્ચા હતી કે કોંગ્રેસ રાજકોટથી વિક્રમ સોરાણીને ટિકિટ આપશે પરંતુ સ્થાનિક કોંગ્રેસી નેતાઓએ ધ્યાન દોરતાં કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી. વિક્રમ સોરાણી પછીથી ભાજપમાં જોડાઇ ગયા હતા.

ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીના સારથિ બની રહ્યા
લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં 7 માર્ચથી 10 માર્ચ સુધી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા યોજાઇ હતી. આ ન્યાય યાત્રામાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ભરૂચ અને બારડોલી લોકસભા મત વિસ્તારને આવરી લેવાયા હતા. ગુજરાતમાં આ યાત્રાની કમાન શક્તિસિંહ ગોહિલે સંભાળી હતી. તેઓ યાત્રા દરમિયાન સતત રાહુલ ગાંધી સાથે રહ્યા હતા. રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રાના લીધે છોટા ઉદેપુર અને બારડોલીમાં કોંગ્રેસને 2019ની ચૂંટણી કરતાં વધુ મત મળ્યા હતા.

ગુજરાતમાં નીકળેલી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની તસવીર

ગુજરાતમાં નીકળેલી રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની તસવીર

રાજીવ ગાંધી સવાર હતા તે ખુલ્લી જીપ ચલાવી હતી
વર્ષ 1989માં રાજીવ ગાંધીએ ગુજરાતમાં સાડા ત્રણ દિવસની યાત્રા યોજી હતી. જેમાં શક્તિસિંહ રાજીવ ગાંધી સાથે રહ્યા હતા. આ યાત્રા જ્યારે ભાવનગર પહોંચી હતી ત્યારે રાજીવ ગાંધી જે ખુલ્લી જીપમાં સવાર હતા તેને શક્તિસિંહે ચલાવી હતી.

શક્તિસિંહે રાજીવ ગાંધી સવાર હતા તે ખુલ્લી જીપ ચલાવી હતી

શક્તિસિંહે રાજીવ ગાંધી સવાર હતા તે ખુલ્લી જીપ ચલાવી હતી

શક્તિસિંહ ગોહિલને સંક્ષિપ્ત પરિચય
4 એપ્રિલ, 1960ના રોજ જન્મેલા શક્તિસિંહ ગોહિલ મૂળ ભાવનગર જિલ્લાના વતની છે. હાલમાં તેઓ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હોવા ઉપરાંત રાજ્યસભાના સાંસદ પણ છે. તેમણે BSC, LLMનો અભ્યાસ કરેલો છે. તેઓ અપરિણીત છે. શક્તિસિંહને બે બહેનો અને 3 ભાઇઓ છે. શક્તિસિંહે જિલ્લા પંચાયતના સભ્યપદથી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. શક્તિસિંહના પિતા હરીશ્ચંદ્રસિંહ પણ જિલ્લા પંચાયતના સભ્ય હતા. જ્યારે શક્તિસિંહના દાદા રણજિતસિંહ ધારાસભ્ય રહી ચૂક્યા છે. શક્તિસિંહ 1992થી 1995 દરમિયાન ગુજરાત સરકારમાં મંત્રી બન્યા હતા જ્યારે 2008થી 2012 સુધી વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહ્યા હતા.

લોકોનું અભિવાદન ઝીલતા શક્તિસિંહ ગોહિલની ફાઇલ તસવીર

લોકોનું અભિવાદન ઝીલતા શક્તિસિંહ ગોહિલની ફાઇલ તસવીર



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!