ભાસ્કર એનાલિસીસ: ગુજરાતમાં ટેટ-ટાટ પાસ 3.94 લાખ ઉમેદવાર, સરકારે બે વર્ષમાં માત્ર 5678ની જ ભરતી કરી! – Rajkot News
.
રાજ્ય સરકારે અગાઉ 7500 શિક્ષકની ભરતી કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ બુધવારે વધુ 17200 શિક્ષકની ભરતીની જાહેરાત કરી છે, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે રાજ્યમાં હાલ ટેટ-ટાટ પાસ ઉમેદવારની સંખ્યા 3,94,239 જેટલી છે. દર વર્ષે મોટી સંખ્યામાં શિક્ષક બનવાના સપનાં સાથે ઉમેદવારો ટેટ-ટાટ પાસ કરીને કાયમી ભરતીની રાહ જુએ છે, પરંતુ આંકડા દર્શાવે છે કે સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં માત્ર 5678 જ ઉમેદવારની ભરતી કરવામાં આવી છે.
સરકારે અત્યાર સુધી કાયમી શિક્ષકોની ભરતી ન કરી જેના કારણે છેલ્લા ઘણા સમયથી ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો અને આ રોષ તાજેતરમાં જ ગાંધીનગરમાં રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહેલા ભાવિ શિક્ષકોમાં દેખાયો. કાયમી ભરતીની માંગ સાથે ગાંધીનગરમાં વિરોધ કરવા આવેલા અનેક ઉમેદવારો રસ્તા પર ઉતર્યા, ઢસડાયા, કેટલાક ઘાયલ થયા ત્યારબાદ રાજ્ય સરકારને જાણે આત્મજ્ઞાન થયું અને બુધવારે વધુ 17,200 શિક્ષકની કાયમી ભરતી જાહેર કરી.
રાજ્યમાં સૌથી વધુ ટેટ-2 પાસ 2.35 લાખ ઉમેદવાર
- ટેટ-1 પાસ ઉમેદવાર – 39,395
- ટેટ-2 પાસ ઉમેદવાર – 2,35,956
- ટાટ (માધ્યમિક) પાસ ઉમેદવાર – 75,328
- ટાટ (માધ્યમિક) દ્વિસ્તરીય – 28,307
- ટાટ (ઉચ્ચતર માધ્યમિક) – 15,253
(આંકડા તારીખ 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ)
વર્ષ 2022માં 5678 શિક્ષકની ભરતી, 2023માં એકપણ ભરતી ન કરી! |
||||
વર્ષ | ટેટ-1 પાસ | ટેટ-2 પાસ |
ટાટ પાસ (માધ્યમિક) |
ટાટ પાસ (ઉ.માધ્યમિક) |
2022 | 2,300 | 3378 | 0 | 0 |
2023 | 0 | 0 | 0 | 0 |
31 મે, 2024 સુધીમાં 2856 શિક્ષક નિવૃત્ત થયા, તેમની જગ્યા પણ હજુ ખાલી!
તારીખ 31 મે, 2024ની સ્થિતિએ રાજ્યમાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીના 1342 શિક્ષક નિવૃત્ત થયા. ધોરણ 6થી 8ના 86 શિક્ષક અને ધોરણ 1થી 8ના 1428 શિક્ષક નિવૃત્ત થયા. મે-2024ની સ્થિતિએ કુલ 2856 શિક્ષક નિવૃત્ત થયા પરંતુ તેમના સ્થાને પણ કોઈ નવી ભરતી કરવામાં આવી નથી. જે શિક્ષકો નિવૃત્ત થયા તેમની જગ્યા પણ હજુ ખાલી જ છે.