કચરામાંથી EVM યુનિટ મળ્યાં!: સરકારી કબજામાંથી ઉકરડામાં પહોંચી જતાં તંત્ર દોડતું થયું, બોરસદના અમિયાદ ગ્રા.પં. પેટાચૂંટણીમાં 6 વર્ષ પહેલાં ઉપયોગ થયો હતો – Anand News
આણંદ જિલ્લાના બોરસદ ગામમાં માર્કેટ પાછળ આવેલા કચરાના ઢગલામાંથી EVMનાં 2 બેલેટ યુનિટ મળતાં ચકચાર મચી છે. સામાન્ય રીતે ચૂંટણી પૂર્ણ થયા બાદ EVM ચૂંટણીપંચના વેરહાઉસમાં રાખી દેવાતાં હોય છે, પરંતુ આણંદના બોરસદમાં બે બેલેટ યુનિટ કચરામાંથી મળી આવતાં ગંભીર બ
.
કચરામાં EVMની જાણ થતાં પ્રાંત અધિકારી દોડ્યા
બોરસદના ભોભાફળી વિસ્તારમાં આવેલ જૂની શાકમાર્કેટ પાછળ કચરાના ઢગલામાંથી આજે બે ઇવીએમના બેલેટ યુનિટ મળી આવ્યાં હતાં. આ અંગેની માહિતી મળતાં બોરસદના પ્રાંત અધિકારી, મામલતદાર સહિત સમગ્ર વહીવટી તંત્ર તાબડતોડ બોરસદ શાકમાર્કેટ પાસે પહોંચી ગયું હતું અને કચરાના ઢગલામાંથી ઈવીએમ મશીનના બે બેલેટ યુનિટ સહિત અન્ય સામગ્રી જપ્ત લીધી હતી. ઈવીએમ મશીન જેવી અત્યંત અગત્યની ચૂંટણીલક્ષી સામગ્રી બિનવારસી મળતાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
2018ની અમિયાદ ગ્રા.પં.ની પેટાચૂંટણીમાં EVMનો ઉપયોગ થયો હતો
આ ઇવીએમના બેલેટ યુનિટમાં બે ઉમેદવાર અશોકભાઈ રાવજીભાઈ ચૌહાણ અને મફતભાઈ ચંદુભાઈ ચૌહાણના નામ લખેલા મળી આવ્યાં છે, જેના પરથી આ ઈવીએમ મશીન વર્ષ 2018માં અમિયાદ ગ્રામપંચાયતના વોર્ડ નંબર 9ની પેટાચૂંટણીમાં ઉપયોગમાં લેવાયાં હોવાનું જણાઈ આવ્યું છે. એ પેટાચૂંટણી યોજાયાનાં 6 વર્ષ બાદ બિનવારસી હાલતમાં કચરાના ઢગલામાંથી મળી આવતાં અનેક તર્કવિતર્ક પણ થઈ રહ્યા છે.
શું કહ્યું પ્રાંત અધિકારીએ?
આ મામલે બોરસદના પ્રાંત અધિકારી અમિત પટેલે જણાવ્યું હતું કે સવારે ટેલિફોનિક મેસેજ મળતાં અમે સ્થળ મુલાકાત લીધી હતી. ચકાસણી કરતાં 2018માં અમિયાદ ગ્રામપંચાયતમાં યોજાયેલી પેટાચૂંટણીમાં બેલેટ યુનિટનો ઉપયોગ થયો હતો. વિગતે તપાસ કરી પ્રાથમિક અહેવાલ બનાવી કલેકટને મોકલી આપ્યો છે. આ બિનવારસી હાલતમાં મળી આવ્યાં છે, એ અંગે ટાઉન પોલીસને તપાસ કરવા જણાવ્યું છે. વિગતે તપાસ કરી આખરી અહેવાલ સુપરત કરાશે અને આ બનાવમાં જે કોઈ જવાબદાર છે એની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.
વેરહાઉસમાં હોવાં જોઈએ એ EVMના બેલેટ યુનિટ કચરામાં કઈ રીતે આવ્યાં?
આણંદ કલેકટર પ્રવીણ ચૌધરીએ ‘ડીબી ડિજિટલ’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ EVM રાજ્ય ચૂંટણીપંચનાં છે, જેનો ઉપયોગ ગ્રામપંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીઓમાં થતો હોય છે. સામાન્ય રીતે ગ્રામપંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરનો જ ઉપયોગ થતો હોય છે, પરંતુ, 2018માં ગ્રામપંચાયતની પેટાચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરાયો હતો. આ ઈવીએમનો અમિયાદ ગ્રામપંચાયતની પેટાચૂંટણીમાં ઉપયોગ કરાયો હતો, જેની ચૂંટણી પૂર્ણ થયા બાદ બોરસદ ટ્રેઝરીમાં જમા કરાવવામાં આવ્યાં હતાં, જે 6 મહિના બાદ વેરહાઉસમાં જમા કરાવવાનાં હોય છે. ત્યાં જમા કરાવવામાં આવ્યાં ન હોવાનું જણાઈ આવ્યું છે. આજે જ કોઈ અહીં નાખી ગયું હોવાનું જણાય છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.