થાર-ફોર્ચ્યુનર અકસ્માત: ફોર્ચ્યુનરમાં કેટલી વ્યક્તિ હતી બે કે ત્રણ? રેસ્ક્યૂ થયેલી વ્યક્તિએ ફાયર ઓફિસરને કહ્યું-3 લોકો હતા!, પોલીસ હદ વિવાદમાં એક કલાક મોડી પહોંચી – Ahmedabad News
અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર રાજપથ-રંગોલી રોડ જંક્શન નજીક વહેલી સવારે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર લોકોને બહાર કાઢવા ખૂબ જ મુશ્કેલ હતા. જેથી અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમને જાણ કર
.
દિવ્ય ભાસ્કરે ગંભીર અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને બચાવી સારવાર અર્થે હોસ્પિટલ મોકલનાર ફાયર અધિકારી સાથે વાતચીત કરી હતી અને સવારે સમગ્ર ઘટનામાં સ્થળ પર શું પરિસ્થિતિ હતી, તે અંગે જાણકારી મેળવી હતી.
કટરથી ફાર્ચ્યુનરનો દરવાજો કાપવામાં આવ્યો
ફોર્ચ્યુનરનો દરવાજો કાપી ઈજાગ્રસ્તને કાઢ્યો
બોપલ ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર નૈતિક ભટ્ટે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેઈન ફાયર કંટ્રોલરૂમમાં 4.30 વાગ્યે આસપાસ કોલ મળ્યો હતો અને ત્યાંથી બોપલ ફાયર સ્ટેશન ખાતે કોલ ટ્રાન્સફર થયેલો હતો. યોદ્ધા, ઓફિસર વાન અને ઇમરજન્સી ટેન્ડર સ્થળ પર જવા રવાના થયા હતા. જ્યાં જઈને જોયું તો ફોર્ચ્યુનર કારમાં ડ્રાઇવરની બાજુની સીટ પર જે વ્યક્તિ હતો એ જીવીત હાલતમાં હતો. જેથી ઇમરજન્સી ટુલ્સ એવા સ્પ્રેડર અને કટરનો ઉપયોગ કરી ફોર્ચ્યુનર કારના દરવાજા તોડ્યા અને સીટને ડિસમેન્ટલ કરીને જે ફસાયેલી વ્યક્તિ હતી. તેને બહાર કાઢ્યો હતો. તેની ઉંમર 30 વર્ષ હતી.
યુવકને જ્યારે બહાર કાઢ્યો ત્યારે તે સંપૂર્ણપણે ભાનમાં હતો, તેને 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો હતો. તેનું નામ પૂછતા રાજુ હરિરામ સાહુ જણાવ્યું હતું. તેમજ તેણે કહ્યું કે, ફોર્ચ્યુનરમાં એમના સિવાય બીજા બે વ્યક્તિ છે.આમ કુલ તેઓ ત્રણ વ્યક્તિ હતા. ગાડીમાં સર્ચ કર્યું તો ડ્રાઇવિંગ સીટ પરથી ડ્રાઇવર મળ્યા અને તેમને પણ ગ્લાસ અને દરવાજા તોડીને બહાર કાઢ્યા. 108ની ટીમે એ ભાઈને ઘટનાસ્થળે મૃત જાહેર કર્યા.
ફોર્ચ્યુનર કારના એક્સિડેન્ટ બાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોતરાઈ હતી
ફોર્ચ્યુનર કારમાંથી ત્રીજી વ્યક્તિ ગાયબ થઈ ગઈ!
નૈતિક ભટ્ટ આગળ કહે છે કે, રાજુભાઈએ કહેલું એ પ્રમાણે સર્ચ કર્યું તો માત્ર દારુની બોટલો અને બિયરના ટીન હતા એટલે કાટમાળમાં ત્રીજી વ્યક્તિ દબાયેલી હોય એ વાત ધ્યાનમાં રાખી આખી ગાડી ફેંદી પણ ફોર્ચ્યુનરમાંથી કોઈ ત્રીજી વ્યક્તિ મળી નહીં.
ફાયર ટીમ દ્વારા કાર અંદરથી ફસાયેલાનું રેસ્ક્યૂ ઓપરેશન કર્યુ
મનીષ ભટ્ટના શરીર પર કોઈ સ્ક્રેચ કેમ નહીં?
નૈતિક ભટ્ટે વધુમાં કહ્યું કે, આ ઓપરેશનની સાથે સાથે 150 મીટર દૂર સર્વિસ રોડ પર થાર ગાડી હતી. એક તરફ પલટી ગયેલી હાલતમાં પડી હતી. જેથી ત્યાં જઈ તપાસ કરી તો ગાડીમાં એક વ્યક્તિ હતો. જેથી ડ્રાઇવર સીટ પર એક વ્યક્તિ હતી તેને દરવાજા અને ગ્લાસ તોડી બહાર કાઢ્યો હતો.જેને 108એ મૃત જાહેર કર્યા હતા. જ્યારે થાર ગાડીથી 100 મીટર દૂર અન્ય એક વ્યક્તિ પણ પડેલી હતી. પરંતુ આ વ્યક્તિ ગાડીમાંથી બહાર નીકળી ગઈ હતી કે કોઈ રાહદારી હતા એની માહિતી નથી. કારમાંથી કેવી રીતે ઉછળીને પડે? એ નવાઈની વાત છે. આ કાર તો બંધ હતી અને કાચ પણ પ્રોપર હતા. એ વ્યક્તિની બોડી પર સિંગલ સ્ક્રેચ નથી. કોઈ માણસ ઉછળીને પડે તો કંઈક તો વાગ્યું હોયને. એ ભાઈને પણ 108એ મૃત જાહેર કર્યા. એ ભાઈનું નામ મનીષભાઈ ભટ્ટ હતું.
ફાયર ટીમ દ્વારા કાર અંદરથી ફસાયેલા મૃતકને બહાર કાઢ્યો હતો
વહેલી સવારે સાડા ચાર વાગ્યા આસપાસ અકસ્માત
બંને કાર અકસ્માત થયેલી હાલતમાં હતી, પરંતુ બંને કાર વચ્ચે આટલો ગંભીર અકસ્માત થયો હતો કે કેમ તે અંગે પણ સવાલ છે? કારણ કે થાર ગાડી ખૂબ દૂર ઉછળીને પડી હતી. ફોર્ચ્યુનર કાર જ્યાં અકસ્માત સર્જ્યો હતો, ત્યાં ડિવાઈડરની વચ્ચે જે જાળી લગાવેલી હતી, તે તમામ ગાડીએ તોડીને અકસ્માત કર્યો હતો અને ચારે એર બેગ ખુલ્લી ફાટી ગયેલી હાલતમાં હતી. સવારે સાડા ચાર વાગ્યે અકસ્માતની ઘટના બની હતી. પરંતુ પોલીસ 5.30 વાગ્યાની આસપાસ એટલે કે ઘટનાના એક કલાક બાદ આવી હતી. ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, પરંતુ અમદાવાદ શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ બંને વચ્ચે હદને લઈ વિવાદ થયો હતો.
અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કારની હાલત
નૈતિક ભટ્ટ, ફાયર ઓફિસર, બોપલ ફાયર સ્ટેશન