ડ્રેનેજનું પાણી ઘરવપરાશ લાયક કરાયું!: રાજકોટમાં એક હજાર લિટર પાણીના માત્ર ₹ 23, ખેતીમાં પણ વાપરી શકાશે, સ્માર્ટ સિટીના ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ પહોંચ્યું ભાસ્કર – Rajkot News
દેશભરનાં 100 સ્માર્ટ સિટીમાં ગુજરાતનાં એકમાત્ર રાજકોટનો સમાવેશ થયો છે. જે અંતર્ગત મનપા દ્વારા રાજકોટની ભાગોળે આવેલા રૈયાધાર ખાતે 930 એકરમાં સ્માર્ટ સિટી બનાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં આ સ્માર્ટસિટીમાં બનેલા અટલ સરોવર અને ન્યુ રેસકોર્સને લોકો માટે
.
આ પ્લાન્ટમાં ડ્રેનેજનાં નકામાં પાણીમાંથી પીવા સિવાયનાં તમામ ઉપયોગમાં લઇ શકાય તેવું દરરોજનું કુલ 80 લાખ લીટર પાણી પ્લાન્ટમાંથી બને છે. એટલું જ નહીં, મનપા દ્વારા માત્ર રૂ.23માં 1000 લીટર લેખે આ પાણીનું વેચાણ કરશે. જે ઘર વપરાશ અને બાંધકામ તથા ખેતીના વપરાશમાં લઈ શકાશે. અત્યાર સુધી કોઈ પહોંચી નથી શક્યું તેવા આ પ્લાન્ટ પર દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી.
રૈયાધાર, મુંજકા અને બજરંગવાડીના નામની મોટી પાઈપ્સ
દિવ્યભાસ્કરની ટીમ સ્માર્ટ સિટીનાં વિસ્તારમાં આવેલા આ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જતી હતી, ત્યારે અહીં ફોરેન જેવા રસ્તાઓ જોવા મળ્યા હતા. મનપાનાં આ ખાસ સુએજ પ્લાન્ટમાં જતાં સિટી ઈજનેર વાય. કે. ગોસ્વામી અને મિકેનિકલ ઈજનેર જાડેજાએ પ્લાન્ટની જાણકારી આપી હતી. જેમાં ડાબી બાજુએ રૈયાધાર, મુંજકા અને બજરંગવાડી સહિતના વિસ્તારનાં નામ લખેલા વિશાળ પાઈપ જોવા મળ્યા હતા. આ અંગે પૂછતાં આ તમામ સ્થળોએથી ડ્રેનેજનું બિનઉપયોગી પાણી અહીં આવતું હોવાનું જાણવા મળ્યું હતું.
STPની પાસે મોટો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરાયો
ત્યાં જ બાજુમાં વિશાળ એસટીપી પ્લાન્ટ (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) આવેલો છે. જેમાં પાણીને સામાન્ય ફિલ્ટર કરવામાં આવે છે અને પાણીમાં રહેલો કચરો દૂર કરી પાણીને એક મોટા ટાંકામાં અલગ કરવામાં આવે છે. જેની સામે મોટો ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. એસટીપીમાંથી આવતા પાણીમાંથી મોટો કચરો દૂર કરીને પ્રાયમરી ફિલ્ટર કરવામાં આવે છે. પ્રાયમરી ફિલ્ટર થયા બાદ એક મોટા ટાંકામાં પાણી એકઠું થાય છે. ત્યારબાદ સેકન્ડરી ફિલ્ટર માટે પાણી ટર્સરી ટ્રીટમેન્ટનાં મુખ્ય પ્લાન્ટમાં વિશાળ પાઈપ દ્વારા પહોંચાડવામાં આવે છે.
રૈયાધાર, મુંજકા અને બજરંગવાડીનાં નામ લખેલી વિશાળ પાઈપ
8 MLD પાણી પસાર કરવા માટે 96 મોડ્યુલ લગાવાયા
જ્યાં આ પાણી બાસ્કેટ સ્કેનરમાંથી પસાર કરવામાં આવે છે. જે 10 માઇક્રોનની કેપેસિટીવાળું છે. પછી આ પાણી ખાસ ઊભા કરાયેલા યુએફ મોડ્યુલ કે જે એક પ્રકારની અલ્ટ્રા ફિલ્ટરેશન મેમરેજમાંથી પસાર થાય છે. જેમાંથી 8 MLD પાણી પસાર કરવા માટે 96 મોડ્યુલ લગાવવવામાં આવ્યા છે. જેની કેપેસિટી 0.1 માઇક્રોન છે. તેમાંથી પસાર થયા બાદ પાણી યુવી સિસ્ટમ એટલે કે અલ્ટ્રા વાયોલેટ સિસ્ટમમાંથી પસાર થાય છે. જ્યાં પાણીને ક્લોરીન અને ડોઝીન કરી ડિસઈન્ફેક્શન થાય છે. ત્યારબાદ સંપૂર્ણપણે જંતુમુક્ત બનેલું પાણી બહાર બનાવેલા 80 લાખ લીટરની ક્ષમતા ધરાવતા વિશાળ ટાંકામાં આવે છે. જ્યાંથી પાણી અટલ સરોવર તેમજ અન્ય ઉપયોગમાં લેવામાં આવે છે.
રાજકોટ ગ્રીનફિલ્ડમાં 930 એકરમાં ડેવલોપમેન્ટ
મનપાનાં સિટી ઈજનેર વાય. કે. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, દેશભરમાં કુલ 100 સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ ગ્રીનફિલ્ડ ડેવલોપમેન્ટ છે. જેમાં 930 એકર જગ્યામાં ગ્રીનફિલ્ડ ડેવલોપમેન્ટ થઈ રહ્યું છે. રાજકોટનાં સ્માર્ટ સિટીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફર્સ્ટ એ થીમ ઉપર ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે કોઈપણ બિલ્ડિંગમાં પાણીનું એક કનેક્શન હોય છે. પણ અહીં જે કોઈ બિલ્ડિંગ બનશે તેને ફરજિયાત ડબલ પલંબિંગ કરવાનું રહેશે.
ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણી ઘરવપરાશ લાયક કરવા માટેના મશીન્સ
સ્માર્ટ સિટીમાં વરસાદી પાણી માટે ખાસ પાઈપલાઇન
વધુમાં તેમણે જણાવ્યું કે, 930 એકરમાં બનેલા સ્માર્ટ સિટીમાં વરસાદના પાણી માટે ખાસ લાઇન નંખાઈ છે. આ પાણી અને વિવિધ વિસ્તારોનું ડ્રેનેજનું પાણી ડ્રેનેજ કલેક્શન સેન્ટર એન્ડ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવશે. જેમાં એસટીપી પ્લાન્ટમાં પ્રાયમરી ટ્રીટમેન્ટ (કચરો કાઢવા માટે) કરવામાં આવશે. ત્યારબાદ સેકન્ડરી ટ્રીટમેન્ટ (પાણીમાં ઓક્સિજન મિક્સ કરી ચોખ્ખું પાણી) મેળવવામાં આવે છે. આ અલગથી મળેલા પાણીને ક્લોરીનેશન કર્યા બાદ ડેમમાં કે એગ્રિકલ્ચરમાં પણ છોડી શકાય છે. સ્માર્ટસિટી ખાતે દરેક બિલ્ડિંગને પાણી માટે એક રિસાયકલ અને બીજું પોર્ટેબલ કનેક્શન અપાશે. જેમાં 24 કલાક પાણી આવશે. જેમાં પીવા માટે પોર્ટેબલ અને અન્ય કામ માટે રિસાયકલ કરેલા પાણીનો ઉપયોગ થશે.
ટર્સરીનું પાણીથી અટલ સરોવર કાયમી ભરેલું રહેશે
મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈનાં જણાવ્યા મુજબ અટલ સરોવર જળસંચયનું ઉમદા ઉદાહરણ છે. સ્માર્ટ સિટી એરિયામાં પડતા વરસાદી પાણીને ચેનલાઈઝ કરવામાં આવ્યું છે. તેમજ તેનાથી જ અટલ સરોવરને ભરવામાં આવે છે. જોકે, વર્ષ દરમિયાન ઘણું પાણી બાષ્પીભવન થતું હોય ત્યારે અટલ સરોવર કાયમી ભરેલું રહે તે માટે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે આપણે સુએજનાં પાણીને STP દ્વારા ટ્રીટ કરીએ છીએ. આ પાણીને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા વધુ ટ્રીટ (ફિલ્ટર) કરીને વધુ ચોખ્ખું બનાવવામાં આવે છે. જેને પણ અટલ સરોવર ભરવા માટે ઉપયોગમાં લેવાઇ રહ્યું છે.
એસટીપી પ્લાન્ટમાં પાણીમાં રહેલો કચરો દૂર કરાય છે
RMCના બગીચા, પ્લાન્ટેશન, બાંધકામની કામગીરીમાં ટ્રીટેડ વોટરનો ઉપયોગ
હાલમાં ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જરૂર કરતાં વધુ પાણી ફિલ્ટર થતું હોવાથી ટ્રીટેડ વોટર માટેની નીતિ નિર્ધારિત કરવામાં આવી છે અને તેના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા છે. આ ટ્રીટેડ વોટરનો ભાવ પ્રતિ 1000 લિટરે માત્ર રૂ 23 રાખવામાં આવ્યો છે. હાલ કોર્પોરેશન હસ્તકના કામો જેવા કે, બાગ બગીચા, પ્લાન્ટેશન, અને અલગ-અલગ બાંધકામની કામગીરીમાં ટ્રીટેડ વોટરનો જ ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ આસપાસનાં ગામોની ખેડૂત મંડળીઓને પણ આ પાણી વેચાણથી આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભવિષ્યમાં પીવા સિવાયના તમામ કામો માટે આ ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવામાં આવે તે માટેના પ્રયાસો હાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે.
પાણી સંગ્રહ માટે 8 કરોડ લીટરનો વિશાળ ટેન્ક
ટર્સરી ટ્રીટમેન્ટ અને STPનાં પાણીનો ઉપયોગ પ્લાન્ટેશન અને ગાર્ડનિંગ તેમજ કન્સ્ટ્રક્શન ઉપરાંત પીવા સિવાય ઘરના તમામ કામો જેવા કે, વાસણ-કપડાં અને સફાઈ માટે કરી શકાય છે. તેમજ ખેતીવાડીને લગતા કોઈપણ કામ માટે અને ઇન્ડસ્ટ્રીઝને લગતા કોઈપણ કામ માટે આ પ્લાન્ટનું પાણી ઉપયોગમાં લઇ શકાય છે. હાલ 8 MLD એટલે કે દૈનિક 80 લાખ લીટરનો પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં પાણીનો સંગ્રહ કરવા માટે 8 કરોડ લીટરનો વિશાળ ટાંકો બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, ભવિષ્યમાં માત્ર મશીનરી મૂકીને આ પ્લાન્ટ ડબલ કેપેસિટી એટલે કે 16 MLD એટલે કે દરરોજ 1.60 કરોડ લીટર પાણીનું ફિલ્ટરેશન કરી શકાય તેવી વ્યવસ્થા અત્યારથી જ કરવામાં આવી છે.
પ્લાન્ટનાં કારણે પીવાનાં પાણીની મોટા પ્રમાણમાં બચત થશે
આ પ્લાન્ટનાં કારણે પીવાનાં પાણીની ખૂબ જ મોટા પ્રમાણમાં બચત થશે. હાલ મનપા દ્વારા વિવિધ પ્રકારના કામો માટે પીવાના પાણીને બદલે આ પ્લાન્ટનાં ફિલ્ટર થયેલા પાણીનો ઉપયોગ શરૂ કરાયો છે. આગામી સમયમાં ઇન્ડસ્ટ્રીઝ તેમજ બાંધકામ સાથે સંકળાયેલા તમામ બિલ્ડરો સાથે બેઠકો યોજી તમામ સ્થળે આ પ્લાન્ટ દ્વારા તૈયાર થયેલા પાણીનો ઉપયોગ થાય તેવા પ્રયાસો કરવામાં આવનાર છે. હાલ પીવા માટેનું પાણી ઘરે-ઘરે આપવામાં આવે છે, તે જ પાણીનો વપરાશ થયા બાદ એસટીપી અને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ફરીથી ઉપયોગ કરી શકાય છે.
પીવા સિવાયના તમામ કામો માટે જો ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરી શકાશે
પીવા સિવાયના તમામ કામોમાં ટ્રીટેડ વોટરનો ઉપયોગ
ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં મોટી મદદ મળશે. કારણ કે, પીવા સિવાયના તમામ કામો માટે જો ટ્રીટેડ વોટરનો ઉપયોગ શરૂ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે 50% કરતા પણ વધુ પ્રમાણમાં પીવાના પાણીની બચત થશે. જેનો ઉપયોગ રાજકોટમાં નવા ભળેલા વિસ્તારો માટે કરી શકાશે. અને ભવિષ્યમાં પીવાના પાણીની કોઈ મુશ્કેલી રાજકોટ શહેરમાં રહેશે નહીં. હાલ 8 MLDનો પ્લાન્ટ 16 MLD થતાં દરરોજ 1.60 કરોડ લીટર ટ્રીટેડ વોટર તૈયાર થશે. જેનો ઉપયોગ વધતા સામે એટલા જ પ્રમાણમાં પીવાના પાણીની બચત થશે.
3R આધારે પાણીનું શુદ્ધિકરણ
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભૂગર્ભ ગટરમાંથી રોજ લગભગ 56 MLD એટલે કે, 5.60 કરોડ લીટર પાણી ખેતી માટે છોડવામાં આવતું હતું. જેના ઉપર ઉપરોક્ત બંને પ્રક્રિયા કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં (Reduce, recycle, Reuse- 3R) કરવામાં આવે છે. અને અલગથી મળેલા પાણીને ક્લોરીનેશન કર્યા બાદ ડેમમાં કે એગ્રિકલ્ચરમાં છોડી શકાય છે. આમ સંપૂર્ણપણે નકામાં પાણીને શુદ્ધ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવતા પીવાના પાણીની સમસ્યામાં ખૂબ મોટી રાહત મળશે તે નિશ્ચિત છે.