15 વર્ષમાં દરિયો દોઢથી 2 કિમી જમીન ગળી ગયો: ભરતીના પ્રચંડ માર અને સતત ધોવાણથી વલસાડના દરિયાકાંઠે વસેલું નાનીદાંતી ગામ નકશામાંથી ભૂંસાઈ જશે – Valsad News
મેહુલ પટેલ.,હસીન શેખ વલસાડના અરબીસમુદ્ર કાંઠે આવેલું 7 હજારની વસતી ધરાવતું નાનીદાંતી ગામ 15 વર્ષથી સતત દરિયાઈ ધોવાણને કારણે વલસાડના નકશામાંથી નામશેષ થઈ જશે, તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ગામમાં દરિયો દોઢથી 2 કિમી આગળ વધી જતાં નાનીદાંતી ગામના અસ્તિત્વ ઉપ
.
દરિયો આગળ વધી જતાં ગામ માત્ર 50 મીટરના અંતરે રહી ગયું
વલસાડનો દરિયો ધીમેધીમે નાનીદાંતી ગામ નજીક ધપી રહ્યો છે. હાલે દરિયો ગામથી માત્ર 50 મીટર દૂર રહી ગયો છે. સરકારી તંત્ર નહીં જાગે તો તોફાની દરિયાઈ ભરતીથી સતત માર ખાઇ રહેલું આ ગામ નામશેષ થઇ જશે, તેવા ભયના ઓથાર હેઠળ જીવી રહેલા ગ્રામજનો દહેશત સેવી રહ્યા છે.ગામને સુરક્ષિત રાખવા પ્રોટેક્શન વૉલ અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ડ્રેજિંગની પ્રવૃત્તિ પર અંકુશ જરૂરી લેખાવી રહ્યા છે.
નજીકનું મોટીદાંતી ગામ રહ્યું નથી, માછીમારો ગામ છોડી ગયા
15થી 20 વર્ષ પહેલાં વલસાડના કાંઠા વિસ્તારમાં મોટીદાંતી ગામ અસ્તિત્વમાં હતું. જ્યાં સતત કિનારાના ધોવાણથી ગામ ડૂબી જવાના ભયના કારણે રહીશો ગામ છોડી નાનીદાંતી ચાલી ગયા હતા.દરિયો ગામમાં ઘૂસી આવતા મોટીદાંતી ગામના લોકોએ સ્થળાંતર કરી હવે નાનીદાંતી અને કોસંબા ગામે રહેવાની ફરજ પડી હતી.હવે નાની દાંતી ગામ ઉપર પણ દરિયાનું જોખમ ઊભું થતાં રહીશો ચિંતાતુર છે.
નાનીદાંતીનું અસ્તિત્વ નહીં ટકે તો 10 ગામ પણ જોખમાશે
નાની દાંતીના સરપંચ અમરત ટંડેલે કહ્યું કે વલસાડ કાંઠા વિસ્તારની અંદર જેટલાં ગામોનું અસ્તિત્વ હવે માત્ર નાનીદાંતી પર નિર્ભર છે. નાનીદાંતી ગામ નજીકનાં 10 ગામો માટે પ્રોટેક્શન વૉલ સમાન છે. જો નાનીદાંતી ગામમાં દરિયો અંદર ઘૂસી જશે તો 10 જેટલાં ગામોનું અસ્તિત્વ પણ જોખમાઇ શકે છે. ચોમાસામાં મોટી ભરતીઓ, દરિયાનાં પ્રચંડ મોજાંની સતત થપાટથી કિનારાના ધોવાણને અટકાવવામાં નહીં આવે તો નાનીદાંતી ગામ નાબૂદ થશે અને તેની સાથે કકવાડી, ભાગલ, માલવણ, દાંડી સહિતાનાં ગામો સુધી દરિયો આગળ વધી જવાની દહેશત ઊભી થશે. ભરતીના મારથી જર્જરિત થઇ ગયેલી પ્રોટેક્શન વોલ અને ડ્રેજિંગ પણ કારણભૂત છે.
રેતીખનન માટે ડ્રેજિંગ પણ કારણભૂત
ગામમાં દરિયો ઘૂસવાનું બીજું કારણ પણ સામે આવ્યું છે. અંબિકા નદીમાં થતું ગેરકાયદે રેતીખનન પણ આ ગામનું અસ્તિત્વ જોખમમાં મૂકવામાં નિમિત્ત હોવાનું કારણ લોકો કહી રહ્યા છે. જેમાં ધોલાઇ અંબિકા નદી પટ માંથી રેતી ખનન કરીને આંતરરાજ્યમાં રેતીનો વેપલો કરવાના કારણે ધોવાણના આક્ષેપો ગામ લોકો લગાવી રહ્યા છે જેના કારણે દરિયા નું ધોવાણ ચોમેરથી થતાં મોટી ભરતીઓ વખતે તોફાની દરિયો દાતી ગામમાં પ્રવેશી રહ્યો છે.