સન્ડે બિગ સ્ટોરી: સેવાસીમાં તંત્રનો જુગાડ,ડ્રેનેજનાં પાણી STPમાં મોકલવાને બદલે પંપિંગ સ્ટેશનમાંથી સીધાં વરસાદી કાંસમાં ઠલવાય છે – Vadodara News
25 હજારથી વધુ વસ્તી ધરાવતા સેવાસીમાંથી પસાર થતી વરસાદી કાંસમાં પંપિંગ સ્ટેશનનું પાણી છોડાય છે. ડ્રેનેજનું પાણી પંપિંગ સ્ટેશનથી ભાયલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મોકલાતું હોય છે, પણ 1 માસથી પાણી સીધું કાંસમાં ઠાલવાતાં દુર્ગંધથી રહીશો ત્રસ્ત થયા છે.
.
પાલિકામાં સમાવેશ બાદ સેવાસીના રહીશોએ વિરોધ કરી પાણી-ડ્રેનેજ સહિતની સુવિધા મળતી ન હોવાના આક્ષેપ કર્યા હતા. તેવામાં સેવાસીમાં ઊભરાતી ડ્રેનેજ મુખ્ય સમસ્યા બની છે. ત્યાંથી પસાર થતી વરસાદી ચેનલમાં પહેલેથી ગટરનાં પાણી છોડાય છે, તેવામાં પંપિંગ સ્ટેશનથી પાણી ભાયલી સુએજ પંપિંગ સ્ટેશનમાં મોકલવાને બદલે સીધું વરસાદી ચેનલમાં ઠાલવાય છે, જેનાથી દુર્ગંધ ફેલાતાં લોકો ત્રસ્ત છે.
આ અંગે તંત્રનું ધ્યાન દોર્યું છે, પણ બીજો વિકલ્પ નથી તેવું જણાવાય છે.જ્યારે નિઝામપુરા ગેલાણી પેટ્રોલપંપથી નવાયાર્ડ સરદારનગર તરફ જતી ડ્રેનેજ લાઈન 8 માસથી બેસી જતાં પાણી ભૂખી કાંસમાં નખાય છે. તંત્રે શાસ્ત્રી બ્રિજ નજીક પંપિંગ સ્ટેશન પાસે કાંસમાં પાળો બાંધ્યો છે અને ડ્રેનેજનું પાણી 3 પંપથી એસટીપીમાં મોકલાય છે.
વુડાએ બનાવેલા પંપિંગ સ્ટેશનની ક્ષમતા ઓછી છે, જેથી કાંસમાં ઠાલવવું પડ્યું છે
આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, વુડાએ ડ્રેનેજ લાઈન નાખી હતી અને પંપિંગ સ્ટેશન બનાવ્યું હતું. જોકે હવે વિસ્તારનો વ્યાપ વધી રહ્યો છે. જેને કારણે સવારે કૂવા ભરાઈ જતા હોવાથી તેને ખાલી કરવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. સવારે અને સાંજે પિક અવરમાં પાણી સીધું નાખવું પડી રહ્યું છે. જ્યારે ડ્રેનેજનું નવું નેટવર્ક નખાશે અને પંપિંગ સ્ટેશનની કેપેસિટી વધશે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે.
દરરોજ પાણી કાંસમાં છોડવા માટે પાઈપને રોડ નીચેથી પસાર કરી દેવાઈ
છેલ્લા એક મહિનાથી નિયમિત રીતે પંપિંગ સ્ટેશનમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. દરરોજ પાણી ઠાલવવા માટે પંપિંગ સ્ટેશનમાંથી એક પાઇપને રોડ નીચેથી પસાર કરી વરસાદી ચેનલ સુધી લઈ જવાય છે. આધારભૂત સૂત્રો મુજબ સવારે અને સાંજે ડ્રેનેજના પાણીને પંપિંગ સ્ટેશનથી સીધું વરસાદી ચેનલમાં નાખી કૂવો ખાલી કરવામાં આવે છે.