NEETની તપાસ માટે CBI ટીમ ગોધરામાં: સર્કિટ હાઉસ ખાતે CBI દ્વારા મોડી રાત સુધી તપાસ ચાલુ રહેશે; મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા – panchmahal (Godhra) News
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ શાળા ખાતે નીટ પરીક્ષામાં પાસ કરાવવાના મામલાના પડઘા દેશભરમાં પડ્યા હતા. ત્યારે ગોધરા ખાતે આ મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી તેમજ આ મામલે પાંચ જેટલા આરોપીઓને પકડી પાડવામા આવ્યા હતા. જોકે હવે રાજ્
.
તપાસ મોડી રાત સુધી ચાલુ રહેશે
ગોધરા શહેરના જય જલારામ સ્કૂલમાં નીટના પ્રકરણ લઈને આજે વહેલી સવારથી સર્કિટ હાઉસ ખાતે CBIની ટીમે ધામા નાખ્યા છે. જેમાં પંચમહાલ પોલીસ દ્વારા જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. જેની તપાસ મોડી રાત સુધી ચાલુ રહેશે. હવે દેખવાનું રહ્યું કે સીબીઆઇ દ્વારા આ દસ્તાવેજોની તપાસ દરમિયાન કેવા ખુલાસા બહાર નીકળે છે.
પંચમહાલ પોલીસે કેસ CBIને હેન્ડ ઓવર કર્યો
આ અંગે પંચમહાલ જિલ્લા પોલીસ અધીક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં તો કેસ CBIને હેન્ડઓવર કરવાની કામગીરી ચાલી રહી છે. હવે કેસ CBIના હાથમાં છે અને તેમને જે મદદની જરૂર પડશે એ અમે કરી રહ્યા છીએ. CBIની ટીમ હાલ તપાસ કરી રહી છે. અમે તેમને કોર્ડીનેટ કરી રહ્યા છે.
ડીવાયએસપી એન.વી.પટેલે જરૂરી તપાસના દસ્તાવેજ રજૂ કર્યા
સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર નીટ પ્રકરણમાં હવે નવા ખુલાસાઓ બહાર આવવની શક્યતાઓ કારણ કે જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના પ્રકરણમાં હવે સીબીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નીટ પરિક્ષા કૌભાંડ મામલે કેટલાક આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં જલારામ હાઈસ્કુલના આચાર્યનો પણ સમાવેશ થાય છે. જોકે આ છેડાના તાર અન્ય રાજ્યો સુધી પહોંચ્યા હતા. ત્યારે તપાસની શરૂઆતમાં જ સીબીઆઇ દ્વારા પંચમહાલ જિલ્લા ડીવાયએસપી એન.વી.પટેલ દ્વારા તપાસના જરૂરી દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા. આ દસ્તાવેજની તપાસ કર્યા બાદ સીબીઆઇની તપાસમાં શું બહાર આવે છે તે હવે જોવાનું રહ્યું છે. હાલ તો સીબીઆઇ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
CBI દ્વારા તપાસનો ધમધમાટ
સમગ્ર ભારત દેશમા ચકચાર જગાવનાર NEET UG -2024ની તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે.
NEET કૌભાંડની તપાસ માટે CBIની ટીમ ગોધરા પહોંચી
આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે એ માટે ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજરોજ ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે CBIની ટીમ આવી પહોંચી હતી, સાથે સાથે પંચમહાલ જિલ્લા પોલીસ અધીક્ષક હિમાંશુ સોલંકી પણ ગોધરા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા. આ તપાસમાં મોટા ખુલાસો થવાની શક્યતા છે.
ગુજરાત સરકારે NEET UG-2024 પરીક્ષાની તપાસ CBIને સોંપી
નીટ પેપર લીક કેસમાં દેશભરમાં ભભૂકેલા આક્રોશ પછી કેન્દ્ર સરકારે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. આ કેસમાં શિક્ષણ મંત્રાલયની ફરિયાદ પછી સીબીઆઈની એન્ટ્રી થઈ ગઈ છે, જેણે પહેલી એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. આ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગેની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકમાં તારીખ 8 મે, 2024ના રોજ નોંધવામાં આવી છે. આ સમગ્ર બાબતમાં વિસ્તૃત તપાસ થઈ શકે તેવા હેતુથી ગોધરા તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી FIRની તપાસ પણ રાજ્ય સરકારે સી.બી.આઇ.ને સોંપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગે આ સંદર્ભમાં નોટિફિકેશન પણ જારી કર્યું છે. આમ, રાજ્ય સરકારે લાંબા સમય બાદ સીબીઆઈને કોઈ કેસની તપાસ સોંપી હોય એવું બન્યું છે. આ તપાસને લઈ હવે CBIની ટીમ ગુજરાત દોડી આવી છે.
ઉલ્લેખનીય છે કે, NEET UG-2024ની ગત તારીખ 5 મે, 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિઓ અંગે ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ભારત સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે. આ અંગેની તપાસ સી.બી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે. આ તપાસ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 1946ની કલમ-6 અન્વયે સી.બી.આઇ.ને સોંપવામાં આવી છે.
નીટ રિઝલ્ટ સાથેની NTA દ્વારા જારી ગાઇડલાઇનમાં ગોધરાનો ઉલ્લેખ નહીં
ગોધરા અને થર્મલ ખાતેની જય જલારામ સ્કૂલમાં નીટ ચોરીના આયોજનનો ભાંડો ફૂટ્યો હતો, જેની તપાસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. એમાં 4 જૂનના રોજ પરિણામ સાથે જાહેર કરેલી માર્ગદર્શિકામાં પણ NTA દ્વારા નીટની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમાં ગોધરા ખાતેની નીટ સંદર્ભ થયેલ ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જ્યારે પટના પોલીસનો પત્ર મળ્યો હોવાનું સ્વીકાર્યું છે.
3 શખસ સામે જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ ફરિયાદ કરી હતી
ગોધરાની જય જલારામ સ્કૂલમાં મેડિકલમાં પ્રવેશ માટે યોજાતી નીટની મહત્ત્વની પરીક્ષામાં પાસ કરવા માટે દશ લાખ લેતા હોવાનો પર્દાફાશ થયો હતો. જે અંગે 8 મે, 2024ના રોજ શાળાના જ શિક્ષક અને સેન્ટરના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ તુષાર ભટ્ટ સહિત 3 સામે જિલ્લા શિક્ષણાધિકારીએ તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ગોધરામાં આવેલી જય જલારામ સ્કૂલમાં નીટ ચોરીનું ષડ્યંત્ર ઘડાયું હતું.
ગોધરામાં નોંધાયેલી એ પોલીસ ફરિયાદ અક્ષરશઃ
જિલ્લા શિક્ષણાધિકારીએ કરેલી પોલીસ ફરિયાદ- અમે તા.5 મે 2024ના રોજ અમારી કચેરીએ હાજર હતા. દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર તરફથી સૂચના મળી હતી કે ગોધરા પરવડી ચોકડી નજીકમાં આવેલી જય જલારામ સ્કૂલમાં NEETની પરીક્ષા લેવાવાની હતી અને આ પરીક્ષામાં સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક તુષારભાઈ ભટ્ટ ગેરરીતિ આચરનાર છે. તો રૂબરૂ સ્થળ પર જઈ ખરાઈ કરવા સૂચના આપી હતી, જેથી અમે અમારા તાબાના ત્રણ અધિકારી સાથે સ્કૂલમાં 10.21 વાગ્યે ત્યાં પહોંચ્યા. તેની અંદાજિત પાંચ મિનિટ બાદ અધિક નિવાસી કલેકટર મહિપાલસિંહ ચૂડાસમા પણ પહોંચ્યા હતા.
સેન્ટર સુપરિન્ટેન્ડન્ટ કેતકીબેન પટેલને અમારી ઓળખ આપી અને અમે પ્રિન્સિપાલની ચેમ્બર્સમાં ગયા હતા. ત્યાં નિવાસી અધિક કલેકટર તેમની ઓળખ પૂછતાં તેમણે તેમનું નામ તુષાર રજનીકાંત ભટ્ટ (રહે. 1, રોયલવીન, વેમાલી, મેરીલેન્ડ પાર્ટી પ્લોટની બાજુમાં,સમા સાવલી રોડ, વડોદરા) અને તેઓ ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડન્ટ તરીકે પરીક્ષાના સુપરવિઝનમાં હોવાનું જણાવેલું. નિવાસી અધિક કલેક્ટરે તુષાર ભટ્ટને બેસવા અને સેન્ટર સુપરિન્ટેન્ડન્ટ કેતકીબેન પટેલ તથા તેમની ટીમને પરીક્ષાલક્ષી કામગીરી રાબેતા મુજબ કરવા જણાવ્યું હતું.
નિવાસી અધિક કલેકટરે અમને તથા પોલીસની ટીમને શકમંદ તુષાર ભટ્ટની પૂછપરછ કરી કાર્યવાહીની સૂચના આપી અને એનો અહેવાલ કલેક્ટરને કરવા જણાવી રવાના થયા હતા. ત્યાર બાદ અમે તુષાર ભટ્ટ પાસેથી તેમના મોબાઇલ ફોન માગતાં બે મોબાઇલ ફોન રજૂ કર્યા. રેડમી કંપનીનો મોબાઇલ ચેક કરતાં એ મોબાઇલમાં વ્હોટ્સએપમાં પરશુરામ રોય નામથી સેવ કરેલા વ્હોટસએપ મોબાઈલ નંબર ઓપન કરતાં તા.4/05/2024 ક. 13-48 થી ક.13/52 સુધીમાં કોમ્પ્યુટર સ્ક્રીનમાંથી ત્રણ ફોટા મોકલેલા જોવા મળ્યા હતા, જેમાં 16 નામ તથા તેની સામે રોલ નંબર અને પરીક્ષા કેન્દ્રનું સરનામું લખેલું મળી આવ્યું. ત્યાર બાદ તા.5-05-2024ના રોજના મેસેજ જોયેલા, જેમાં 9-05 વાગ્યે અંજલિકુમારી હિમેશ કેસરી પ્રધાન નામનો મેસેજ મળી આવ્યો હતો.
જે વ્હોટ્સએપ મેસેજ વડોદરા રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયે મોકલ્યો હતો અને મેસેજમાં જણાવેલા નામવાળા અમારી સ્કૂલમાં NEET પરીક્ષા આપવા આવવાના છે. તેમણે પેપર સોલ્વ કરી આપવા માટે એક પરીક્ષાર્થીદીઠ રૂ.10,00,000 લેવાના નક્કી કર્યા છે, જેથી તેનો રેડમી મોબાઈલ ચેક કરતાં ગેલરી એપ્લિકેશનમાં બોલપેનથી લખેલાં નામ, રોલનંબર તથા થર્મલ લખી ફોટો મળી આવ્યો છે, જે સંબંધે પૂછતાં જલારામ ગ્રુપની થર્મલ તથા ગોધરા ખાતે આવેલી સ્કૂલમાં NEETની પરીક્ષામાં બેસનારા પરીક્ષાર્થીઓનાં નામ, રોલનંબરનુ લિસ્ટ છે, જે બંને લિસ્ટ આ પરીક્ષાર્થીઓને NEETની પરીક્ષા આપવા બેસનારનું છે.
તેમને આવડતા પ્રશ્નોના જવાબ લખવાના હતા અને બાકીના કોરા મૂકી દેવાના હતા. જે પરીક્ષા પૂર્ણ થયા બાદ નક્કી કરેલા રોલનંબરવાળા પરીક્ષાર્થીઓની જવાબવહીમાં લખી આપવાના હતા. તેમની વધુ પૂછપરછમાં 6 પરીક્ષાર્થીનાં નામનું લિસ્ટ ગોધરાના આરિફ વોરાના મોબાઈલ નંબર પર આવ્યું હતું, જે હીલપાર્ક સોસાયટીમાં રહે છે. તેમણે પણ એક પરીક્ષાર્થીદીઠ રૂ.10 લાખ પાસ કરવા તેમજ મેરિટમાં આવે એ માટે નકકી કર્યા અને મને રૂ.7,00,000 સવારના તેના ઘરે બોલાવી આપ્યા હતા અને એ રૂપિયા તેમની ગાડી નં. જી.જે.17 બી. એન. 7627માં ડ્રાઇવરની સીટ નીચેથી મળ્યા હતા.
તુષાર ભટ્ટ ગોધરાના નીટ પરીક્ષા સેન્ટરના સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો.
તુષાર ભટ્ટ પાસેથી મળી આવેલાં સાહિત્ય તથા મોબાઇલ તથા ગાડીની આર.સી.બુક તપાસના કામે સીઝ કરી 2024ની ચૂંટણીપ્રક્રિયામાં રોકાયેલા હોય તેમને નોટિસ આપી હાજર રહેવા જણાવ્યું હતું. તુષાર ભટ્ટે આર્થિક લાભ માટે 7 લાખ એડવાન્સ અને પરશુરામ રોય પાસેથી એક પરીક્ષાર્થીદીઠ રૂા.10 લાખ લેવાના નક્કી કરી વિશ્વાસઘાત કર્યો છે.
ઉપરોકત ગેરરીતિ બાબતે મને કલેકટર પંચમહાલ- ગોધરાના ઉપરોકત સંદર્ભમાં જણાવેલા હુકમથી ફોજદારી કાર્યવાહી થવા હુકમ કરેલા હોય, જે આધારે શિક્ષક તુષાર ભટ્ટ તેમજ તેમણે પરશુરામ રોય તથા આરિફ વ્હોરાને અગાઉથી આયોજન કરી ગુનાહિત કૃત્ય કરવા માટે નાણાકીય વ્યવહારો કરી ભ્રષ્ટાચાર કરેલો હોય તેઓ તથા તેમની સાથે સંડોવાયેલા અન્ય લોકો સામે ધોરણસર કાર્યવાહી કરવા અમારી લેખિત ફરિયાદ છે.
ગોધરાના નીટ પરીક્ષા કૌભાંડમાં કોની શું ભૂમિકા?
પરશુરામ રોય
વડોદરા ખાતે રોય ઓવરસીઝના સંચાલક પરશુરામ રોયે તુષાર ભટ્ટને 16 પરીક્ષાર્થીને પાસ કરવા લિસ્ટ મોકલ્યુ હતું. એક પરીક્ષાર્થીને પાસ કરાવવા 10 લાખનો સોદો તુષાર ભટ્ટ સાથે કર્યો હતો. તેની ઓફિસમાંથી પોલીસને લિસ્ટવાળા પરીક્ષાર્થીઓના 14 ચેક મળ્યા હતા. પરશુરામ રોયની અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના પેપર લીકમાં પણ પૂરછપરછ થઇ હતી. પરુશરામ રોયને પોલીસે વડોદરા ખાતેથી પકડ્યો હતો.
રોય ઓવરસીઝનો સંચાલક પરશુરામ રોય.
તુષાર ભટ્ટ
તુષાર ભટ્ટ ગોધરાના નીટ પરીક્ષા સેન્ટર સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતો હતો. 5 મેના રોજ પરીક્ષામાં પરીક્ષાર્થીઓને આવડે એ પ્રશ્નના જવાબ લખીને બીજા પ્રશ્નો કોરા રાખતાં તુષાર ભટ્ટ લિસ્ટવાળા પરીક્ષાર્થીઓને મેરિટમાં લાવવા ઓએમઆર શીટમા પરીક્ષા પૂર્ણ થયા બાદ સાચા જવાબ ટિક કરવાનો હતો. તુષાર ભટ્ટને રાજસ્થાનના બાસવાડાથી પકડયો હતો.
આરિફ વોરા વચેટિયા તરીકે કામ કરતો હતો.
આરિફ વોરા
નીટમાં પરીક્ષાર્થીઓને પાસ કરાવવા પરીક્ષાર્થીઓનાં નામ આરિફે તુષાર ભટ્ટને આપ્યાં હતાં. વચેટિયા તરીકે કામ કરતો આરિફ પરીક્ષાર્થીઓને શોધીને પાસ કરવાનાં નાણાં નક્કી કરીને એડવાન્સરૂપે આરિફે તુષાર ભટ્ટને 7 લાખ રૂપિયા આપ્યા હતા. આરિફે 6 પરીક્ષાર્થીનાં નામ તુષાર ભટ્ટને આપ્યાં હતાં. આરિફને પોલીસે રાજસ્થાનના બાસવાડાથી પકડી પાડ્યો
વિભોર આનંદ
પરશુરામ રોયના લિસ્ટના 16 પરીક્ષાર્થીમાંથી 11 પરીક્ષાર્થી વિભોરે આપ્યા હતા. આ 11 પરીક્ષાર્થી ઓડિશા, બિહાર, મહારાષ્ટ્ર રાજ્યના પરીક્ષાર્થીઓ હતા, જેના માટે પરશુરામ વિભોરને કમિશન આપવાનું નક્કી કર્યું હતું. પોલીસે વિભોર આનંદને બિહારના મધુબની જિલ્લામાંથી પકડી પાડ્યો હતો.
વિભોર આનંદ.
પુરષોત્તમ શર્મા
નીટ પરીક્ષાના સેન્ટર ગોધરા અને થર્મલના નીટ કો ઓર્ડિ.ની જવાબદારી પુરષોત્તમ શર્માની હતી. પરીક્ષાના આગલા દિવસે 4 મેના રોજ પુરુષોત્તમ શર્માના ઘરે તુષાર ભટ્ટ સાથે મિટિંગ યોજી હતી. પુરષોત્તમ શર્મા અને આરિફ વચ્ચે અનેક વાર ફોન પર વાતચીત થઇ હતી તેમજ બે માસ પહેલાં નીટ કૌભાંડનો આરોપી પરશુરામ રોયનું લોકેશન પુરુષોત્તમ શર્મા ઘર પાસે મળ્યું હતું.
તુષાર ભટ્ટને અગાઉ થર્મલની સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો. તુષાર ભટ્ટ અગાઉ થર્મલ ખાતેની જય જલારામ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ કોઇ કારણસર સ્કૂલ-સંચાલકે તુષારને નોકરીમાં કાઢી મૂક્યો હતો, પરંતુ તુષાર ભટ્ટની ફિઝિક્સ વિષય પર સારી પક્કડ હોવાથી શાળા-સંચાલકે તેને ફરીથી ગોધરા ખાતેની સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી પર રાખ્યો હતો. જ્યારે પુરુષોત્તમ શર્મા ગોધરા ખાતેની સ્કૂલમાં છેલ્લાં 8 વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો. તુષાર ભટ્ટના શિક્ષણના લીધે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હતો. નીટની પરીક્ષામાં તુષારને સેન્ટર સુપરિન્ટેન્ડન્ટ અને પુરુષોત્તમ શર્માને નીટ પરીક્ષામાં કો -ઓર્ડિનેટર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.
NEET UG શું છે?
NEET UG એટલે કે નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ, અંડરગ્રેજ્યુએટ એ રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા છે. NEET પરીક્ષા મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે, જે વિદ્યાર્થીઓની સંખ્યાની દૃષ્ટિએ દેશની સૌથી મોટી પરીક્ષા છે.
એના દ્વારા ભારત અને રશિયા, યુક્રેન સહિત અન્ય કેટલાક દેશોમાં એમબીબીએસ, બીડીએસ અને અન્ય તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ ઉપલબ્ધ છે. NEET UG નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દ્વારા હાથ ધરવામાં આવે છે.
NTAના DG સુબોધ કુમારને હટાવાયા, પ્રદીપ સિંહ ખરોલા નવા ડિરેક્ટર જનરલ
NEET પરીક્ષાના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે શનિવારે રાત્રે 9 વાગ્યે NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)ના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર સિંહને હટાવી દીધા. પ્રદીપ સિંહ ખરોલાને નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ કર્ણાટક કેડરના 1985 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. ખરોલા ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના સીએમડી છે. 1 મે 2024ના રોજ, તેમને સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)ના અધ્યક્ષનો વધારાનો હવાલો આપવામાં આવ્યો. દરમિયાન આજે એટલે કે 23 જૂને યોજાનારી NEET-PG પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. નવી તારીખ પછી જાહેર કરવામાં આવશે. તે નેશનલ બોર્ડ ઓફ એજ્યુકેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પરીક્ષા રવિવારે 300 શહેરમાં 1000થી વધુ કેન્દ્રો પર યોજાવાની હતી.
NTA પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે 7 સભ્યની ઉચ્ચ સ્તરીય સમિતિ
અગાઉ બપોરે શિક્ષણ મંત્રાલયે અનિયમિતતા રોકવા અને NTA પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે 7 સભ્યની ઉચ્ચ સ્તરીય સમિતિની જાહેરાત કરી હતી. ઈસરોના પૂર્વ અધ્યક્ષ અને આઈઆઈટી કાનપુરના પૂર્વ ડિરેક્ટર કે. રાધાકૃષ્ણન તેના ચીફ હશે. આ સમિતિ 2 મહિનામાં શિક્ષણ મંત્રાલયને રિપોર્ટ સોંપશે. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET પરીક્ષા વિવાદ પર 20 જૂને એક પ્રેસ-કોન્ફરન્સમાં આની જાહેરાત કરી હતી. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે આ સમિતિ શિક્ષણ મંત્રાલયને NTAના માળખા, કાર્યપ્રણાલી, પરીક્ષાપ્રક્રિયા, પારદર્શિતા, ટ્રાન્સફર અને ડેટા, સુરક્ષા પ્રોટોકોલમાં વધુ સુધારા કરવા સૂચનો આપશે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીની રચના 7 વર્ષ પહેલાં કરવામાં આવી હતી
2017માં નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં NTAની રચનાની જાહેરાત કરી હતી. તેનું કામ ગુણવત્તાયુક્ત પરીક્ષણ સેવા પૂરી પાડવાનું છે, એટલે કે દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાઓ યોજવાનું.
પરિણામ પછી કેમ થયો વિવાદ?
NEETના માહિતી બુલેટિનમાં ગ્રેસ માર્કિંગનો કોઈ ઉલ્લેખ નથી. NTA એ પણ પરિણામ જાહેર કરતી વખતે આ માહિતી આપી નથી. પરિણામ આવ્યા પછી ઉમેદવારોએ પ્રશ્નો ઉઠાવ્યા, પછી NTAએ કહ્યું કે ‘સમયના નુકસાન’ને કારણે, કેટલાક વિદ્યાર્થીને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે. NTAએ કઈ ફોર્મ્યુલા હેઠળ ગ્રેસ માર્ક્સ આપ્યા એ વિશે કંઈ જણાવ્યું નથી.
શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- પરીક્ષામાં ઝીરો એરર કરવામાં આવશે
કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 20 જૂને NEET પરીક્ષા વિવાદ પર પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘NEET પરીક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. આને ઝીરો એરર કરવામાં આવશે. NTA માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે, જે વધુ સુધારાની ભલામણ કરશે.