ભાસ્કર ખાસ: નશાયુક્ત ડ્રિંકસ પીધા બાદ યુવાને બંને આંખની દૃષ્ટિ ગુમાવી, તબીબે સર્જરી વિના દવા-ટીપાંથી સારવાર કરતા દૃષ્ટિ પાછી મળી – Ahmedabad News
.
બજારમાં પાન ગલ્લાઓ અને કાફે પર મળતાં નશાયુકત ડ્રિંકસ પીતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમા આવ્યો છે. જેમાં યુવાને નશાયુક્ત ડ્રિકસ પીધા પછી બંને આંખે દેખાતું બંધ થઇ ગયું હતું. પરંતુ, ઘટનાના ચાર જ દિવસમાં યુવાન આંખના સર્જન પાસે પહોંચી જતાં ડોકટરે સર્જરી વિનાની સારવાર કરતાં યુવાને ફરી દ્રષ્ટિ પાછી મળી છે. આવાં કેસમાં સમયસર નિદાન-સારવારને અભાવે કાયમ માટે દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવતો હોવાનું ડોકટર જણાવી રહ્યાં છે.
ઇસનપુરમાં રહેતાં 29 વર્ષીય યુવાને નામ નહિ લખવાની શરતે જણાવ્યું હતું કે, 3 મહિનાથી મારા ઘરની નજીકના પાનના ગલ્લા તેમજ કાફે પર વેચાતું નશાયુક્ત ડ્રિંકસ પીવાની આદત પડી હતી. પરંતુ, 10 દિવસ પહેલાં આ ડ્રિંકસ પીધા પછી મને અચાનક ઉલ્ટી-ઉબકા શરૂ થવાની સાથે બંને આંખે દેખાવાનું બંધ થઇ ગયું હતુ. જેથી નજીકની હોસ્પિટલમાં દાખલ થતાં ડોકટરે મને આઇ સ્પેશ્યાલિસ્ટ પાસે તપાસ કરવાનું જણાવ્યું હતું.
શહેરના 6થી 7 આઇ સ્પેશ્યાલિસ્ટે તમે કયારેય જોઇ નહિ શકે તેમ કહીને સારવાર કરવાની ના પાડી દિધી હતી. જેથી મે ડો. પાર્થ રાણાનો સંપર્ક કરતાં તેમણે મને દ્રષ્ટિ પાછી લાવવા માટે પ્રયાસ કરવાની સારવાર કરતાં મારી આંખમાં દ્રષ્ટિ પાછી ફરી છે. નોંધનીય છે કે મીથેનોલ મોટેભાગે દર્દીના ઘાની સાફ સફાઇ માટે વપરાય છે. આ ડ્રિંક્સ પીવાને કારણે તેને બંને આંખે દેખાતું બંધ થયું હતું અને બંને આંખમાં 10થી 20 ટકા પણ દ્રષ્ટિ ન હતી.
લઠ્ઠામાં વપરાતું મિથેનોલ આંખમાં ગંભીર સોજો પેદા કરે છે
મીથેનોલ લઠ્ઠામાં વપરાતું અેક પ્રકારનું કેમિક્લ્સ છે, લોહીમાં ભળ્યાં બાદ આંખની નસ પર એટેકે કરીને સોજો પેદા કરે છે, જેને લીધે વ્યકિતની દ્રષ્ટિ ઓછી થવા લાગે છે, સોજો વધી જાય અને તેની પાંચથી છ દિવસમાં તકલીફનું યોગ્ય નિદાન-સારવારને અભાવે દર્દી કાયમ માટે દ્રષ્ટિ ગુમાવી શકે છે.